
બાંગ્લાદેશમાં અનામતને લઇને હિંસક પ્રદર્શન બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. તે બાદ તે દેશ છોડીને ભારત આવી ગયા છે. ભારતની એજન્સીઓ તેમની સુરક્ષા માટે પહેલાથી જ તૈયાર હતી. એરફોર્સના જેટ વિમાનમાં તે હિંડન એરપોર્ટ પહોંચ્યા હતા. ન્યૂઝ એજન્સી અનુસાર, ભારતના રડાર પહેલાથી જ વિમાનની રાહ જોઇ રહ્યાં હતા. આ વાત પર નજર રાખતા હતા કે વિમાનને કોઇ ખતરો ના થાય. બપોરે 3 વાગ્યે એક ઉંચાઇ પર ઉડતું વિમાન જોવા મળ્યું હતું. આ વિમાનને તરત જ ભારત આવવાની પરવાનગી આપવામાં આવી હતી.
સૂત્રો અનુસાર, શેખ હસીનાને સુરક્ષા પુરી પાડવા માટે 101 સ્કવોડ્રનના બે રાફેલ ફાઇટર વિમાન બિહાર અને ઝારખંડની ઉપર ઉડતા હતા. હસીનાના વિમાન પર ભારતની એજન્સીઓની નજર હતી અને સુરક્ષા માટે દરેક ઉપાય કરવામાં આવ્યા હતા. ભારતના ટોપ સુરક્ષા અધિકારી આ કામમાં લાગ્યા હતા. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સ્થિતિ પર નજર રાખી રહ્યાં હતા.
ડિફેન્સ સ્ટાફ ચીફ લેફ્ટનન્ટ જનરલ જોનસન ફિલિપ મેથ્યૂ, સેના પ્રમુખ દ્વિવેદી અને જાસુસી એજન્સીના ટોચના અધિકારીઓ સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક કરવામાં આવી હતી. હસીનાનું વિમાન પહોંચ્યા બાદ NSA અજીત ડોભાલે તેમની સાથે મુલાકાત કરી હતી. એક કલાક હસીના અને ડોભાલ વચ્ચે બેઠક મળી હતી. તે બાદ NSA એરબેઝ જતા રહ્યાં હતા અને વડાપ્રધાનની અધ્યક્ષતામાં સુરક્ષા સમિતિની બેઠકમાં સામેલ થયા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે બાંગ્લાદેશના સેના પ્રમુખ વકાર ઉજ જમાને જાહેરાત કરી કે સેના દેશની જવાબદારી સંભાળશે અને વચગાળાની સરકારની રચના કરવામાં આવશે. શેખ હસીનાએ રાજકારણમાંથી સંન્યાસની જાહેરાતનો નિર્ણય કર્યો છે. તે બ્રિટનમાં રહેવા તૈયાર છે. જોકે, પરવાનગી મળવા સુધી તે ભારતમાં જ રહેશે.