Former PM Manmohan Singh Passed Away: પૂર્વ વડાપ્રધાન અને ભારતના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહે ગુરુવારે (26મી ડિસેમ્બર) મોડી રાત્રે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ડૉ. મનમોહન સિંહની છબી ખૂબ જ સૌમ્ય અને વિનમ્ર વક્તા તરીકેની રહી છે. તે થોડા શબ્દોમાં પોતાના વિચારો વ્યક્ત કરતા હતા. જ્યારે અન્ય સાંસદો અને મંત્રીઓ સંસદમાં તેમના મંતવ્યો રજૂ કરતી વખતે ઘણીવાર કવિતાનો ઉપયોગ કરતા જોવા મળે છે, ત્યારે ડૉ. મનમોહન સિંહના ભાષણોમાં આ વસ્તુઓ બહુ દેખાતી નહોતી.
ડૉ. મનમોહન સિંહે ગૃહમાં ગાલિબની શાયરી સંભળાવી
15મી લોકસભામાં ચર્ચા દરમિયાન પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મિર્ઝા ગાલિબની પ્રસિદ્ધ શાયરી સંભળાવી હતી. તેમણે કહ્યું હતુ કે, 'હમ કો ઉનસે હૈ વફા કી ઉમ્મીદ, જો નહીં જાનતે વફા ક્યા હૈ' તેના જવાબમાં સુષ્મા સ્વરાજે કહ્યું કે, 'તુમ્હે વફા યાદ નહીં, હમે વફા યાદ..., જિંદગી ઔર મોત કે દો હી તરાને હે...'
આ પણ વાંચોઃ પરમાણુ ડીલથી લઈને મનરેગા સુધી! જાણો દિવંગત PM મનમોહન સિંહની મોટી સિદ્ધિઓ
સિદ્ધિઓ અને વારસો
ડૉ. મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન લાખો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા અને એક નેતા તરીકે તેમની સફળતાને કારણે ભારત એક મોટી વિશ્વ આર્થિક શક્તિ તરીકે ઉભરી આવ્યું હતું. તેમની સરકારના કેટલાક કાયદાઓએ નાગરિકો માટે ખોરાક, શિક્ષણ, કામ અને માહિતીના અધિકારોને સુનિશ્ચિત કર્યા છે. આ બધી સફળતાઓ હોવા છતાં, તેઓ અને તેમની સરકાર પછીના વર્ષોમાં વિવાદોથી ઘેરાયેલા હતા, જેમાં 2G સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉપરાંત અન્ય આરોપોનો સમાવેશ થાય છે.