
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL Final 2025) ની ફાઇનલને લઈને એક મોટી અપડેટ આવી છે. BCCI દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ IPL ફાઇનલ હવે 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ની ઘણી બેઠકો દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો. એવું પણ માનવામાં આવે છે કે અમદાવાદ 1 જૂને ક્વોલિફાયર 2નું પણ આયોજન કરશે.
https://twitter.com/IPL/status/1924800972599021999
જોકે, પ્લેઓફની પહેલી બે મેચ એટલે કે ક્વોલિફાયર 1 અને એલિમિનેટર - અનુક્રમે 29 મે અને 30 મેના રોજ મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢ ખાતે રમાશે. દેશમાં વરસાદની મોસમ ધીમે ધીમે શરૂ થઈ રહી હોવાથી આ સ્થળો પસંદ કરતી વખતે BCCI માટે પ્રાથમિક વિચારણા હવામાનની સ્થિતિ હતી. અગાઉના શેડ્યૂલ મુજબ, IPL 2025 ની ફાઇનલ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે યોજાવાની હતી. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવને કારણે, BCCI એ IPL 2025 ને 1 અઠવાડિયા માટે સ્થગિત કરી દીધું હતું. આ પછી 17 મેથી લીગ ફરી શરૂ થઈ. આ કારણે, BCCI ને સમયપત્રકમાં પણ ફેરફાર કરવો પડ્યો. ફાઇનલ મેચ હવે 25 મેના બદલે 3 જૂને રમાશે.
IPL 2025 પ્લેઓફ શેડ્યૂલ
ક્વોલિફાયર 1: 29 મે, મુલ્લનપુર, ન્યુ ચંદીગઢ
એલિમિનેટર: ૩૦ મે, મુલ્લનપુર, ન્યુ ચંદીગઢ
ક્વોલિફાયર 2: 1 જૂન, અમદાવાદ
ફાઇનલ: ૩ જૂન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે જેમાં 1 લાખ 33 હજાર લોકોની બેઠક ક્ષમતા છે. તેણે અગાઉ પણ મહત્વપૂર્ણ IPL મેચોનું આયોજન કર્યું છે. ૨૦૨૨માં ગુજરાત ટાઇટન્સે અહીં રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ૨૦૨૩માં વરસાદને કારણે ફાઇનલ બે દિવસ સુધી લંબાવવામાં આવી હતી, છતાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હજુ પણ તેનું યજમાન હતું. ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાતને હરાવીને પાંચમી વખત IPL ટ્રોફી પર કબજો કર્યો હતો.
આરસીબીની મેચ લખનૌ ટ્રાન્સફર કરવામાં આવી
દક્ષિણ ભારતમાં પ્રતિકૂળ હવામાનને કારણે IPL એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની અંતિમ મેચ જે શુક્રવાર, 23 મે ના રોજ લખનૌમાં રમાવાની હતી તેનું વેન્યુ ચેન્જ કર્યું છે. RCB હવે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અને લખનૌ સુપર જાયન્ટ્સ સામે પોતાની અંતિમ લીગ મેચ 27 મેના રોજ એકાના સ્ટેડિયમ ખાતે રમશે.