
ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે ભારત આતંકવાદનો નિશ્ચિત રીતે અંત ઇચ્છે છે અને ગત મહિને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા જેવા કોઇ પણ આતંકી હુમલાના જવાબમાં તે પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર ફરી હુમલો કરશે.
વિદેશ મંત્રીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધ યાદીમાં સામેલ તમામ સૌથી કુખ્યાત આતંકવાદી પાકિસ્તાનમાં છે અને તે દેશના મોટા શહેરોમાં ખુલ્લેઆમ સક્રિય છે. સરકાર તેમાં સામેલ છે. પાકિસ્તાન સેના તેમાં પુરી રીતે સામેલ છે. જયશંકરે જણાવ્યુ કે બન્ને પક્ષો વચ્ચે સીધી વાતચીત બાદ ભારત-પાકિસ્તાનમાં સંઘર્ષ સમાપ્ત કરવાની સહમતિ બની હતી. વિદેશ મંત્રીએ આ વાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે દાવા બાદ કહી કે વોશિંગ્ટને સંઘર્ષ વિરામ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
જયશંકરે નેધરલેન્ડના પ્રસારક એનઓએસ અને ડી વોલ્ક્સક્રાંટ માટે અલગ અલગ ઇન્ટરવ્યૂમાં આ ટિપ્પણી કરી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે જો ફરી કોઇ આતંકવાદી હુમલો થાય છે તો ભારત પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર હુમલો કરશે. આ કારણ છે કે Operation Sindoor સમાપ્ત થયુ નથી. જયશંકર નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીના પ્રવાસ હેઠળ નેધરલેન્ડના હેગમાં હતા. જયશંકરે કહ્યું, આ અભિયાન ચાલુ છે કારણ કે તેમાં એક સ્પષ્ટ મેસેજ છે- જો 22 એપ્રિલ જેવી હરકત ફરી થાય છે તો તેનો જવાબ આપવામાં આવશે અને અમે આતંકવાદીઓ પર હુમલો કરીશું.
અમે તેમના પર પ્રહાર કરીશું- એસ જયશંકર
વિદેશ મંત્રી જયશંકરે મેસેજ આપતા સ્પષ્ટ કર્યું કે, જો આતંકવાદી પાકિસ્તાનમાં છે તો અમે તેમના પર ત્યાં જ પ્રહાર કરીશું જ્યા તે છે, માટે ઓપરેશન ચાલુ રાખવામાં એક મેસેજ છે પરંતુ ઓપરેશન ચાલુ રાખવુ એક બીજા પર ગોળીબાર કરવા સમાન નથી. વિદેશ મંત્રીએ કહ્યું કે કોઇને આ વાત પર વિશ્વાસ ના કરવો જોઇએ કે પાકિસ્તાનને નથી ખબર કે તેના દેશમાં શું ચાલી રહ્યું છે. એસ જયશંકરે ડી વોલ્ક્સક્રાંટને કહ્યું, તેમના એડ્રેસ ખબર છે, તેમની ગતિવિધિઓ પણ ખબર છે, માટે એમ ના માનવું જોઇએ કે પાકિસ્તાન તેમાં સામેલ નથી. સરકાર તેમાં સામેલ છે, સેના પુરી રીતે તેમાં સામેલ છે.
Operation Sindoorમાં ભારતે આતંકી ઠેકાણાને નિશાન
ભારતે 22 એપ્રિલે પહેલગામ આતંકી હુમલાના જવાબમાં Operation Sindoor હેઠળ 6-7 મેની રાત્રે આતંકવાદીઓના 9 ઠેકાણાઓ પર સચોટ હુમલા કરવામાં આવ્યા હતા. ભારતીય કાર્યવાહી બાદ પાકિસ્તાને 8,9 અને 10 મેએ ભારતીય સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાનના પ્રયાસોનો ભારતીય પક્ષે જવાબ આપ્યો હતો. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ 10 મેએ જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન ભૂમિ, વાયુ અને દરિયાઇ ક્ષેત્ર પર તમામ પ્રકારની ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહીઓને રોકવા માટે સહમત થયા હતા.
જયશંકરે જણાવ્યું- અમેરિકા સાથે શું વાત થઇ હતી
જયશંકરે પોતાના સંબોધનમાં કહ્યું કે ટકરાવ સમાપ્ત કરવાની વ્યવસ્થા પર ભારત અને પાકિસ્તાન બન્નેએ મોહર લગાવી હતી. વિદેશ મંત્રીએ કહ્યું, જ્યારે બે દેશ સંઘર્ષમાં ઉલજે છે તો આ સ્વાભાવિક છે કે દુનિયાના દેશ એક બીજાને ફોન કરીને પોતાની ચિંતા વ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે. જયશંકરે કહ્યું, ગોળીબાર અને સૈન્ય કાર્યવાહીને રોકવાને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત થઇ હતી. જયશંકરે કહ્યું, અમે અમારી સાથે વાત કરનારા તમામ લોકોને એક વાત સ્પષ્ટ કરી દીધી હતી કે માત્ર અમેરિકા જ નહીં પણ તમામને જો પાકિસ્તાનીઓની લડાઇ બંધ કરવી છે તો તેમને અમને જણાવવું પડશે.તેમના જનરલે અમારા જનરલને ફોન કરીને આ કહેવું પડશે અને પછી આવું જ થયું.
પાકિસ્તાનીઓએ આ સારી રીતે સમજવું જોઇએ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકરાવ સમાપ્ત થયા બાદ ટ્રમ્પે કેટલીક વખત તેનો શ્રેય લેતા કહ્યું કે તેમને બન્ને પક્ષો વચ્ચે સંઘર્ષ વિરામ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે આતંકવાદનો નિશ્ચિત રીતે અંત ઇચ્છીએ છીએ માટે અમારો સ્પષ્ટ મેસેજ છે. જો પાકિસ્તાન તરફથી આતંકવાદી હુમલા ચાલુ રહે છે તો તેના પરિણામ પણ ભોગવવા પડશે. પાકિસ્તાનીઓએ આ સારી રીતે સમજવું જોઇએ.