Home / World : Shocking revelation that Iran's President was injured in the war with Israel

ઈઝરાયેલ સાથેના યુધ્ધમાંં ઈરાનના રાષ્ટ્રપતિ ઈજાગ્રસ્ત થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો

ઈઝરાયેલ સાથેના યુધ્ધમાંં ઈરાનના રાષ્ટ્રપતિ ઈજાગ્રસ્ત થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો

ઈઝરાયલની સાથે 12 દિવસ સુધી ચાલેલા યુદ્ધ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન ઈઝરાયલી હુમલામાં ઘાયલ થયા હતા. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર (IRGC)થી જોડાયેલ ફાર્સ ન્યૂઝ એજન્સીએ રવિવારે આ માહિતી આપી છે. જેમાં જણાવાયું છે કે, 16 જૂન 2025ના રોજ ઈરાનની રાજધાની તેહરાન પર થયેલા ઈઝરાયલી હુમલામાં રાષ્ટ્રપતિ પેઝેક્શિયન સામાન્ય રીતે ઘાયલ થયા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ હુમલો ત્યારે થયો જ્યારે રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન વરિષ્ઠ ઈરાની અધિકારીઓ સાથે તેહરાનમાં બેઠક કરી રહ્યા હતા. હુમલામાં બેઠકમાં ભાગ લેનારા અનેક લોકો ઘાયલ થયા હતા. આ સાથે ઈરાની રાષ્ટ્રપતિએ અમેરિકન પત્રકાર સાથેની વાતચીતમાં દાવો કર્યો કે, ઈઝરાયલે તેમની હત્યાના પ્રયાસ કર્યા હતા.

પેઝેશ્કિયનના પગમાં થઈ હતી ઈજા

ફાર્સ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, હુમલાને લઈને પેઝેશ્કિયનના પગમાં ઈજા પહોંચી હતી. આ બેઠક યુદ્ધ શરૂ થવાના ચાર દિવસ બાદ 16 જૂને તેહરાનના પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં યોજાઈ હતી. બિલ્ડિંગના નીચેના ભાગમાં થયેલી આ બેઠકમાં ઈરાનના રાષ્ટ્રપતિ, સંસદ અધ્યક્ષ અને ન્યાયપાલિકાના પ્રમુખે ભાગ લીધો હતો.

 ઈઝરાયલી મિસાઈલોએ મિટિંગ હોલના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં છ મિસાઈલો અને બોમ્બનો ઉપયોગ કરાયો હતો. બિલ્ડિંગની ચોતરફ તબાહી મચી ગઈ, પરંતુ અધિકારી ઈમરજન્સી સુરંગથી બહાર નીકળવામાં સફળ રહ્યા. જો કે, ઈઝરાયલે આ હુમલા અંગે કોઈ ટિપ્પણી નથી કરી. બીજી તરફ ઈરાની જાસૂસી એજન્સીઓ ગુપ્ત માહિતી લીક કરનારની શોધખોળ કરી રહી છે.

મારી હત્યાનો પ્રયાસ કરાયો: મસૂદ પેઝેશ્કિયન

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને અમેરિકન પત્રકાર ટકર કાર્લસનને આપેલા ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો કે, ઈઝરાયલે મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. હું એક મિટિંગમાં હતો, ત્યારે તે વિસ્તારમાં બોમ્બમારો કરવામાં આવ્યો. આ હુમલામાં અમેરિકાની કોઈ ભૂમિકા ન હતી. તેમણે તેના માટે માત્રને માત્ર ઈઝરાયલને જવાબદાર ગણાવ્યું.

નરસલ્લાહની હત્યા જેવું ઓપરેશન

રિપોર્ટમાં કહેવાયું છે કે, આ ઓપરેશન હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહની હત્યા જેવું જ હતું. ઈઝરાયલે લેબેનોનના ઈરાન સમર્થિત ચરમપંથી સંગઠન હિઝબુલ્લાહના તત્કાલિન પ્રમુખ હસન નસરલ્લાહના બેરૂત સ્થિત હેડક્વાર્ટરમાં હત્યા કરી દીધી હતી. હસન નસરલ્લાહને તે સમયે નિશાન બનાવાયો હતો, જ્યારે તે સંગઠનના ટોચના કમાન્ડરો સાથે અંડરગ્રાઉન્ડ હેડક્વાર્ટરમાં બેઠક કરી રહ્યો હતો.

ઈરાનના અનેક ટોપ કમાન્ડરના થયા હતા મોત

ઈઝરાયલે 12 જૂને ઈરાન પર મોટો હુમલો કર્યો હતો. 12 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં ઈઝરાયલે ઇસ્લામિક રિવોલ્યુશની ગાર્ડના ટોચના નેતૃત્વ, વરિષ્ઠ કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનીઓને ઠાર માર્યા હતા. 13 જૂને ઈરાન પર શરૂઆતી હુમલામાં જ ઈઝરાયલે IRGC કમાન્ડર મેજર જનરલ હોસૈન સલામી, ઈરાની સેનાના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદ બાઘેરી, IRGC વાયુસેના કમાન્ડર અમીર અલી હાઝીઝાદેહ અને અન્ય વરિષ્ઠ ઈરાની વાયુસેના અધિકારીઓની હત્યા કરાઈ હતી. યુદ્ધમાં ઈરાનના અનુસાર, 900થી વધુ લોકોના મોત થયા, જ્યારે ઈઝરાયલે જણાવ્યું કે, તેમના 28 લોકોના મોત થયા. 24 જૂન 2025ના રોજ યુદ્ધવિરામ લાગુ કરાયું હતું. 

Related News

Icon