
pahalgam attack: જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ છે. આ દરમિયાન બંને દેશોની સરકારો દ્વારા એકબીજા વિરુદ્ધ અનેક મોટા પગલાં લેવામાં આવ્યા છે. સિંધુ જળ સંધિ બાદ ભારત સરકાર હવે પાકિસ્તાની એરલાઇન્સ માટે પોતાનું એરસ્પેસ બંધ કરવાનું વિચારી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે, ભારત સરકાર પાકિસ્તાની એરલાઇન્સને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી ન આપવાનું વિચારી રહી છે. આ નિર્ણય બાદ પાકિસ્તાની એરલાઇન્સને દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો સુધી પહોંચવા માટે વાયા ચીન અને શ્રીલંકા જવું પડશે. આ સાથે ભારતીય બંદરો પર પાકિસ્તાની જહાજોના રોકાવા પર પ્રતિબંધ મૂકવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે, પાકિસ્તાની એરલાઇન્સ ભારત તરફથી કોઈ કાર્યવાહીના ડરથી પહેલેથી જ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાનું ટાળી રહી છે. આ પહેલા પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું.
જણાવી દઈએ કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા જ્યારે 17 ઘાયલ થયા હતા. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરાયો હતો.
પહેલગામ હુમલા પછી પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા કેબિનેટ સમિતિ (CCS) એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. ભારત દ્વારા આવી સખત કાર્યવાહની પ્રથમ ઘટના છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી.
કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે, વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે 1960 ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે.