
Operation Sindoor નું નામ દરેક ભારતીય સહિત વિશ્વના અનેક લોકોના મનમાં કોતરાયેલું છે. પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર હેઠળ જ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો. ભારતીય સેનાએ પોતાની બહાદુરી અને હિંમત બતાવીને 6 મેની મોડી રાત્રે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ભારતીય સેનાએ મોડી રાત્રે કરેલા આ કાર્યવાહીનું નામ ઓપરેશન સિંદૂર આપ્યું હતું. હવે ભાજપા સરકાર દેશમાં ઘરે ઘરે ઓપરેશન સિંદૂરના પ્રતિક સમાન સિંદૂર મોકલાવશે.
ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીનું ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભવ્ય સ્વાગત થયું હતું. વિશ્વભરમાં પાકિસ્તાનના કરતૂતો જણાવવા માટે વિવિધ ટીમો મોકલી છે. જેઓ ઓપરેશન સિંદૂર કરવા પાછળનું કારણ વિશ્વભરને બતાવી રહ્યા છે. ત્યારે હવે દેશમાં પણ ઓપરેશન સિંદૂરની શૌયર્તા દર્શાવવા ઘરે ઘરે સિંદૂર પહોંચાડવામાં આવશે. દેશભરમાં 1 મહિના સુધી સતત અભિયાન ચલાવવામાં આવશે.
9 જૂને ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા હતા
મોદી સરકાર ઓપરેશન સિંદૂરની સફળતાને દરેક ઘર સુધી પહોંચાડવાની તૈયારી કરી રહી છે. આ અંતર્ગત દેશની દરેક મહિલાઓને સિંદૂર ભેટ તરીકે આપવામાં આવશે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, આ અભિયાનનો પ્રારંભ 9 જૂનથી શરૂ થશે. આ દિવસે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા હતા, એટલે કે મોદી 3.0 શરૂ કરવામાં આવ્યું હતું.
મુખ્ય ઉદ્દેશ્ય મોદી 3.0 સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાનો
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મોદી 3.0 સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાનો છે. આ માટે જનસંપર્ક દરમિયાન મહિલાઓને સિંદૂર પણ આપવામાં આવશે. ઓપરેશન સિંદૂરને પ્રકાશિત કરતી પત્રિકાઓનું પણ વિતરણ કરાશે.
કેન્દ્રના તમામ મંત્રીઓ, NDA ગઠબંધનના તમામ સાંસદો શામેલ થશે
આ અભિયાનમાં કેન્દ્રના તમામ મંત્રીઓ, NDA ગઠબંધનના તમામ સાંસદો અને સંગઠનના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે. એક મહિના સુધી ચાલનારા આ કાર્યક્રમમાં તમામ લોકસભા સાંસદો તેમના મતવિસ્તારમાં દરરોજ 15-20 કિમી સુધી યાત્રા કરશે. અને મંત્રીઓ અઠવાડિયામાં બે દિવસ 20-25 કિમીનો પ્રવાસ કરીને લોકસંપર્ક કરશે.
જણાવી દઈએ કે, ઓપરેશન સિંદૂરને હાથ ધરવાની શરૂઆતની કમાન NSA અજિત ડોભાલે સંભાળી હતી. NSA અજિત ડોભાલે એક ખાસ ટીમ સાથે આ ઓપરેશનનું પ્લાનિંગ કર્યું. ઓપરેશનના પહેલા તબક્કામાં, પાકિસ્તાનની અંદર થઈ રહેલી પ્રવૃત્તિઓ વિશે ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં આવી. આતંકવાદીઓએ પોતાનું નવું ઠેકાણું ક્યાં બનાવ્યું હતું તે બધા સ્થળોની ઓળખ કરાઈ. પીએમ મોદીનું સિગ્નલ મળતાની સાથે જ ભારતીય ફાઈટર જેટ્સ ઓપરેશન સિંદૂરને પાર પાડવા માટે આકાશમાં ઉડી ગયા. બરાબર રાતે 12:37 વાગ્યે, ભારતે પાકિસ્તાની ધરતી પર આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું. થોડી જ વારમાં આતંકવાદીઓના નવ ઠેકાણાઓ નેસ્તનાબૂદ થઈ ગયા અને સમગ્ર પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો.