
ઓપરેશન સિંદૂર દરમિયાન દેશભરમાં બંધ કરાયેલા 32 એરપોર્ટ ફરીથી ખોલવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા સોમવારે (૧૨ મે, ૨૦૨૫) એક પ્રેસ રિલીઝ જારી કરીને આ માહિતી આપવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં 7 જેટલા એરપોર્ટ બંધ કર્યા હતા. AAI એ દેશના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં બંધ કરાયેલા 32 એરપોર્ટ ખોલવા માટે એરમેનને નોટિસ (NOTAM) જારી કરી છે.
પેસેન્જર વિમાન માટે એરસ્પેસ પણ ખોલવાની જાહેરાત
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતના 7 સહિત ભારતના બંધ કરાયેલા તમામ 32 એરપોર્ટને ફરી તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવી રહ્યા છે અને આ સાથે પેસેન્જર વિમાન માટે એરસ્પેસ પણ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.
https://twitter.com/AAI_Official/status/1921822679583142259
ઉલ્લેખનીય છે કે ભારતમાં 32 એરપોર્ટ હવે તાત્કાલિક અસરથી ખુલી ગયા છે. જોકે એરસ્પેસ પર આ અંકુશ લાદવાનો નિર્ણય શનિવાર સવાર સુધી લાગુ હતો, પરંતુ પછી તેને 15મે સુધી સવાર 5:29 વાગ્યા સુધી વધારવામાં આવી હતી. જે બાદ આજે તમામ ચેતવણીઓ પાછી ખેંચી લેવામાં આવી છે.
આ એરપોર્ટમાં અધમપુર, અંબાલા, અમૃતસર, અવંતિપુર, ભટિંડા, ભુજ, બિકાનેર, ચંદીગઢ, હિંડોન, જેસલમેર, જમ્મુ, જામનગર, જોધપુર, કંડલા, કાંગડા (ગગ્ગલ), કેશોદ, કિશનગઢ, કુલ્લુ મનાલી (ભુંતર), લેહ, લુધિયાણા, મુંદ્રા, નલિયા, પઠાણકોટ, પોરબંદર, પટિયાલા, રાજકોટ, સરસાવા, શિમલા, શ્રીનગર, થોઈસ અને ઉત્તરલાઈનો સમાવેશ થાય છે. મહત્ત્વપૂર્ણ છે કે, ઓપરેશન સિંદૂર અંતર્ગત સુરક્ષાકારણોસર એરપોર્ટ સુવિધા બંધ કરાતા અનેક હવાઈ સેવાને અસર થઈ હતી. જે હવે પૂર્વવત કરવામાં આવતા પ્રવાસીઓને હાલાકી નહીં પડે. ભારતની વિવિધ મોટી એરલાઇન્સે પ્રવાસીઓને તપાસ કરવા અને તે મુજબ હવાઈ યાત્રા કરવા જણાવ્યું હતું.
AAI એ એક પ્રેસ રિલીઝ જારી કરી
૧૦ મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત અને રવિવાર (૧૧ મે, ૨૦૨૫) ના રોજ નિયંત્રણ રેખા પર મોટાભાગે શાંતિપૂર્ણ પરિસ્થિતિ બાદ ઉડ્ડયન મંત્રાલયે ભારતના 32 એરપોર્ટ ખોલવા નોટીસ જારી કરી છે.