
'ઓપરેશન સિંદૂર'ની સફળતા માટે ગુરુવારે પટનામાં પીએમ મોદીનો રોડ શો યોજાશે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે આ માહિતી આપતા કહ્યું કે, પીએમ મોદી સાંજે 5 વાગ્યે પટના એરપોર્ટ આવશે. તેઓ બે દિવસીય બિહારની મુલાકાતે છે.
રોડ શો દરમિયાન 32 સ્થળોએ પીએમ મોદીનું સ્વાગત કરાશે
ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું કે,પટનામાં 'એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત શહેરની બહાર બિહતા ખાતે નવા એરપોર્ટનો શિલાન્યાસ કરશે.' ત્યાર બાદ પાર્ટી કાર્યાલય પીએમ મોદી આવશે. આ એક વિશાળ રોડ શો હશે, જે પોલીસ મુખ્યાલય, પટના હાઈકોર્ટ અને આવકવેરા સ્ક્વેર જેવા મહત્વપૂર્ણ સ્થળોએથી પસાર થશે. રસ્તામાં 32 સ્થળોએ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે.
રોડ શોમાં લાખો લોકો ભાગ લેશે
જોકે, જયસ્વાલે સ્પષ્ટતા કરી હતી કે આ સન્માન સમારોહ કોઈપણ રાજકીય પક્ષના બેનર હેઠળ યોજાશે નહીં. 'વિવિધ સામાજિક સંગઠનો અને NGO સાથે સંકળાયેલા લાખો લોકો વિશ્વના સૌથી લોકપ્રિય નેતાનું સ્વાગત કરવા માટે રસ્તા ઉપર એકત્ર થશે.'
પીએમની રેલી રોહતાસ જિલ્લાના બિક્રમગંજમાં યોજાશે
ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, બિહારના લોકો મોદીનો આભાર માનવા માંગે છે, જેમણે પહેલગામ આતંકવાદી હુમલા પછી તરત જ આ જ ધરતી પરથી જાહેરાત કરી હતી કે, આતંકીઓને સજા કરવામાં આવશે. પટનામાં રાત્રિ રોકાણ બાદ પ્રધાનમંત્રી શુક્રવારે રોહતાસ જિલ્લાના બિક્રમગંજ ખાતે અનેક પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે. ત્યાં પણ એક રેલીને સંબોધિત કરશે.ભીડના મામલે આ રેલી તમામ રેકોર્ડ તોડી નાંખશે.