
રાજકોટ: રિબડા ગામે પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાતનો મામલે અનિરૂદ્ધસિંહ જાડેજાએ વીડિયો જાહેર કરી ખુલાસો કર્યો છે. વીડિયોમાં અનિરૂદ્ધસિંહ જાડેજા (રીબડા) એ જણાવ્યું કે, “અમિત ખૂંટ આપઘાત કેસમાં મને અને મારા પરિવારને ખોટી રીતે સંડોવણી કરવામાં આવી રહી છે. સગીરા દ્વારા મૃતક યુવક અમિત ખૂંટ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી તે હયાત જ છે તેની પોલીસ તપાસ કરે. આપઘાત કેસમાં અમારી સંડોવણી ખુલે તો હું પોલીસ સમક્ષ હાજર થવા તૈયાર છું. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું આ કાવતરું છે. મને અને મારા પરિવારને ખોટી રીતે હેરાન કરવા કાવતરું ઘડાયું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા રીબડા આવ્યા પછી સ્યુસાઇડ નોટમાં ઘણા બધા ચેડાં કરવામાં આવ્યા છે. મારૂં અને મારા પુત્ર રાજદીપનું નામ ખોટી રીતે ઉમેરી અમને ફસાવવાનું કાવતરૂ રચાયું છે. પોલીસ આ મામલે ઊંડી તપાસ કરે તેવી માંગ છે. દુષ્કર્મ કેસની પીડિતને મેં કે મારા પરિવારે કોઈ કોન્ટેક્ટ કર્યો છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરે. પીડિતાનો નંબર મારા ફોનમાં કે એના ફોનમાં મારો નંબર નીકળે છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરે. પોલીસને સત્ય બહાર લાવવા પોલીસ ઉંડાણથી તપાસ કરે તે જરૂરી છે.”
અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજા સામે ફરિયાદ દાખલ
રીબડા ગામે દુષ્કર્મ કેસના આક્ષેપિત આરોપી અમિત ખૂંટ આપઘાત કેસમાં સુસાઇડ નોટ સામે આવ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અનિરુદ્ધસિંહ જાડેજા - રીબડા અને રાજદિપસિંહ જાડેજા - રીબડા તેમજ 2 યુવતીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ગોંડલ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
રિબડાના ત્રાસમાંથી મુક્ત કરાવો - ગોવિંદ સગપરીયા
પાટીદાર અગ્રણી ગોવિંદ સગપરીયાએ જણાવ્યું હતું કે, અલ્પેશ કથીરીયા, જીગીશા પટેલ અને મેહુલ બોધરા સહિતની ટીમ અમારી મદદ માટે આવે. મેં અગાઉ જ કીધું હતું કે રિબડાના ત્રાસમાંથી મુક્ત કરાવો. સમાજના આગેવાનો બની ફરો છો તો અહીં આવો અને રિબડાના ત્રાસમાંથી મુક્ત કરાવો..’
હું અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને એક યુવતીના દબાણથી કરું છું આત્મહત્યા
સ્યુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ તેમજ ફરિયાદ કરનાર સગીરા બદનામ કરવાથી તેમના ત્રાસથી આત્મહત્યા કરતું હોવાનો ઉલ્લેખ કર્યો છે. સ્યુસાઈડ નોટમાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે હું અનુભા, રાજદીપ અને એક યુવતીના ત્રાસથી અને દબાણથી આત્મહત્યા કરુ છું.
યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરીયા, અશોક પીપળીયા, જ્યોતિરાદિત્યસિંહ જાડેજા સહિતના અનેક લોકો સાથે ઉમટી પડ્યા હતા.
જ્યુસમાં કેફી પીણું પીવડાવીને યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ
રાજકોટમાં સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કરીને તેના પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી. મૂળ સાવરકુંડલાની મોડલિંગ સાથે જોડાયેલી સગીરાએ રીબડાના અમિત ખૂંટ સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે યુવકે દુષ્કર્મના આરોપથી આઘાતમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જાણો શું છે મામલો
સાવરકુંડલાની 17 વર્ષની સગીરા આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા બે મહિનાથી તે રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડલિંગ કરતી હતી. આ સમય દરમિયાન તેણે રીબડા ગામના અમીત દામજી ખુંટ નામના પટેલ યુવાન સાથે પરીચય થયો હતો. અને બન્ને અવાર-નવાર મળતા હતા. ત્યારે યુવાને સગીરાને જ્યુસમાં બેભાન કરવાની દવા પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું.
સાવરકુંડલાની યુવતિ રાજકોટમાં મોડેલિંગ કરતી
મળતા અહેવાલ પ્રમાણે સાવરકુંડલાની યુવતિ રાજકોટમાં મોડેલિંગ કરતી હતી. યુવાન ઈન્સ્ટાગ્રામ પર તેની સાથે સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ સતત મુલાકાત પણ કરતા હતા. તો બીજી તરફ તાજેતરમાં સગીરાને શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા જ્યુસ સેન્ટરમાં તેઓ મળ્યા અને જ્યુસમાં દવા ભેળવીને યુવતીને પીવડાવવાનો અને ખાનગી જગ્યાએ લઇ જઈને દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.