
રાજકોટ સિટી બસ દ્વારા અકસ્માત મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અકસ્માત સર્જનાર ડ્રાઇવર શિશુપાલસિંહનું ડ્રાઇવિંગ લાયસન્સ જ એક્સપાયર થયેલ હોવાનું સામે આવ્યું છે. ડ્રાઇવરને વગર લાયસન્સે સીટી બસ ચલાવવાનો પીળો પરવાનો કોણે આપ્યો? લોકો દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપ મુજબ અકસ્માત મામલે પીએમઆઈ એજન્સી સંપૂર્ણ જવાબદાર છે. શું આ મુદ્દે કોર્પોરેશન કમિશનર પગલાં લેશે?
અકસ્માતમાં મૃતક ચિન્મયનો પરિવાર પૂર્ણપણે વિખેરાયો
ઈન્દિરા સર્કલ પર બસ અકસ્માતની દુર્ઘટનામાં મૃતક ચિન્મયનો પરિવાર હવે પૂર્ણપણે વિખેરાઈ ગયો છે. પાંચ વર્ષ પહેલા માતા, એક મહિના પહેલા પિતા અને હવે પુત્ર ચિન્મયનું મૃત્યુ થયું છે. એવામાં પરિવારના સદસ્યોમાં હવે એક માત્ર બહેન બચી છે. મૃતક ચિન્મયના હજુ લગ્ન થયા ન હતા.
ચિન્મયના નજીકના પરિજનોએ ખૂબ જ પીડા સાથે કહ્યું ચાર દિવસ નાટક ચાલશે પણ પાછી કઈ નહીં થાય. બસ ચાલકો બેફામ ચલાવે છે કોઈને સજા નહીં થાય. ટીઆરપી ગેમ ઝોનમાં પણ લોકોએ દેકારો કર્યો પણ કોઈને સજા નથી મળી. અહીંયા પણ અમારો તો પરિવારનો માળો વીંખાઈ ગયો, બીજા પરિવારો વિખેરાઈ ગયા તેમ છતાં આરોપીને કાંઈ નહીં થાય, આવું ન થવું જોઈએ.
એજન્સી સંચાલક કોન્ટ્રાકટર વિજય ડાંગર ભાજપ સાથે સંકળાયેલ
સિટી બસ સંચાલક એજન્સીના મૂળ ભાજપ સુધી નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. એજન્સી સંચાલક કોન્ટ્રાકટર વિજય ડાંગર ભાજપ સાથે સંકળાયેલો છે. તેમજ વિજય ડાંગર વોર્ડ નંબર 4 ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે. વર્ષોથી એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ શા માટે અપાય રહ્યો છે તે પણ સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. તેમજ ભાજપ સાથે જોડાયેલ હોવાથી કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. સીટી બસના ચાલક તેમજ કંડક્ટરોની અવારનવાર બેદરકારી છતાં પણ એક જ એજન્સીને કામ અપાતું હતું.