
રાજ્યમાં વિદ્યા સહાયક ભરતી માટેની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં ધોરણ એક થી પાંચ માટે 5 જૂનથી છેલ્લી પસંદગી માટે બોલાવાયા છે. શિક્ષણ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ઉમેદવાર ફરીથી જિલ્લા પસંદગી માટે હાજર નહીં રહે તે પસંદગી કરવા માંગતા નથી તેમ માનવામાં આવશે.
કેમ સ્થગિત કરવામાં આવી હતી ભરતી પ્રક્રિયા?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર ‘રિઝલ્ટ’ શબ્દ હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતાં ઉમેદવારોના મેરીટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ થવાની શકયતાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો ભરતી પ્રક્રિયા સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ સંદર્ભે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ માટેની વિદ્યાસહાયક ભરતી વર્ષ 2024 માટે ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા 22 મે 2025થી શરૂ કરવામાં આવી હતી. જ્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉમેદવારોના મેરીટમાં ફેરફારને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે અન્ય ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી 22 મે 2025થી 31 મે, 2025 સુધી કરવામાં આવેલી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો.
વિદ્યાસહાયક ભરતીની પસંદગી પ્રક્રિયાના નિયમ મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરીટ ગણતરી બાદ હવે નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ નિર્ણય કર્યો છે.