
રાજકોટ : બળાત્કારના આક્ષેપિત આરોપી અમિત ખૂંટ આત્મહત્યા મામલે પાટીદાર આગેવાનો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ગોવિંદભાઈ સગપરીયાએ નિવેદન આપ્યું હતું કે, ‘અમિત ખૂંટ દ્વારા થોડા દિવસ પેહલા જમીન વેચવા કાઢી હતી ત્યારબાદ આ જમીન વેચવાની કેન્સલ થઈ. રીબડામાં હજુ પણ જમીન વેચવી હોય તો અનિરુદ્ધસિંહ જાડેજાને ભાગ આપવો પડે તેવી સ્થતિ છે. 2022માં ચૂંટણીનો ખાર રાખી પણ હેરાન કરવામાં આવતા હતા. જ્યાં સુધી અમિત ખૂંટના આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી અમે લોકો અહીંયા જ રહીશું. લાશ નહીં સ્વીકારીએ.”
રિબડાના ત્રાસમાંથી મુક્ત કરાવો - ગોવિંદ સગપરીયા
પાટીદાર અગ્રણી ગોવિંદ સગપરીયાએ જણાવ્યું હતું કે, અલ્પેશ કથીરીયા, જીગીશા પટેલ અને મેહુલ બોધરા સહિતની ટીમ અમારી મદદ માટે આવે. મેં અગાઉ જ કીધું હતું કે રિબડાના ત્રાસમાંથી મુક્ત કરાવો. સમાજના આગેવાનો બની ફરો છો તો અહીં આવો અને રિબડાના ત્રાસમાંથી મુક્ત કરાવો..’
અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહનો જ આ ઘટનામાં હાથ - જેન્તીભાઇ ખૂંટ
મૃતક અમિત ખૂંટના કાકાનું જેન્તીભાઇ ખૂંટનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં તેમને કહ્યું છે કે, “જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. છોકરીમાં ફસાવી અને કાવતરું કરવામાં આવ્યું છે. અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ નો જ આ ઘટનામાં હાથ છે. અગાઉ પણ આવી ઘટનાઓ રીબડાની અંદર બની છે. અગાઉ પણ આ પ્રકારે ષડયંત્ર રચીને યુવકનું મોત થયું હતું.”
હું અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને એક યુવતીના દબાણથી કરું છું આત્મહત્યા
સ્યુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ તેમજ ફરિયાદ કરનાર સગીરા બદનામ કરવાથી તેમના ત્રાસથી આત્મહત્યા કરતું હોવાનો ઉલ્લેખ કર્યો છે. સ્યુસાઈડ નોટમાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે હું અનુભા, રાજદીપ અને એક યુવતીના ત્રાસથી અને દબાણથી આત્મહત્યા કરુ છું.
યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરીયા, અશોક પીપળીયા, જ્યોતિરાદિત્યસિંહ જાડેજા સહિતના અનેક લોકો સાથે ઉમટી પડ્યા હતા.
જ્યુસમાં કેફી પીણું પીવડાવીને યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ
રાજકોટમાં સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કરીને તેના પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી. મૂળ સાવરકુંડલાની મોડલિંગ સાથે જોડાયેલી સગીરાએ રીબડાના અમિત ખૂંટ સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે યુવકે દુષ્કર્મના આરોપથી આઘાતમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જાણો શું છે મામલો
સાવરકુંડલાની 17 વર્ષની સગીરા આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા બે મહિનાથી તે રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડલિંગ કરતી હતી. આ સમય દરમિયાન તેણે રીબડા ગામના અમીત દામજી ખુંટ નામના પટેલ યુવાન સાથે પરીચય થયો હતો. અને બન્ને અવાર-નવાર મળતા હતા. ત્યારે યુવાને સગીરાને જ્યુસમાં બેભાન કરવાની દવા પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું.
સાવરકુંડલાની યુવતિ રાજકોટમાં મોડેલિંગ કરતી
મળતા અહેવાલ પ્રમાણે સાવરકુંડલાની યુવતિ રાજકોટમાં મોડેલિંગ કરતી હતી. યુવાન ઈન્સ્ટાગ્રામ પર તેની સાથે સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ સતત મુલાકાત પણ કરતા હતા. તો બીજી તરફ તાજેતરમાં સગીરાને શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા જ્યુસ સેન્ટરમાં તેઓ મળ્યા અને જ્યુસમાં દવા ભેળવીને યુવતીને પીવડાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અજ્ઞાત જગ્યા પર તે જાગી હતી, સમગ્ર મામલે તેણે પોતાની મોટી બહેનને આ મામલે જાણ કરી હતી.