સાબમરતી નદીની બુધવારથી સફાઇ કરવાની મ્યુનિસિપલ તંત્રની જાહેરાતનો પહેલા દિવસે ફીયાસ્કો થયો હતો. નદીમાં વહેતા થયેલા ગટરના ગંદા પાણી સુકાયા નહીં હોવાથી બુધવાર કામગીરી કરાઇ નહતી. ગુરૂવારે ફરી એક વખત સાબરમતી નદીને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
બે દાયકાથી નદીનો કાંપ દૂર થયો નથી
સાબરમતી રિવરફ્રન્ટનો પહેલો ફેઝ વર્ષ 2003-04માં શરૂ કરાયો એ પહેલા નદી ખાલી કરી તેમાં રહેલો કાંપ કાઢવામાં આવ્યો હતો. બે દાયકાથી નદીના કાંપને કાઢીને ક્યારેય સફાઇ કરાઇ નથી. સાબરમતી નદીની સફાઇના નામે આજથી વધુ એક તરકટ શરૂ કરવામાં આવ્યું છે.
ચોમાસા અગાઉ વાસણા બેરેજના દરવાજાની મરામત શરૂ કરવામાં આવી છે. બેરેજના દરવાજાની મરામત 5 જુન સુધીમાં પુરી કરાશે. ઉપરાંત બેરેજના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવાનો હોવાથી નદી ખાલી કરાઇ છે. 14મેથી નદીનો પટ જેમ જેમ સુકાશે એમ નદીની સફાઇ કરાશે. એ પ્રકારની જાહેરાત મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવી હતી. બીજી તરફ સાબરમતી નદીની સફાઇને લઇને તંત્રની બેદરકારી છતી થઇ હતી. નદી સફાઇ કરવા અંગે જાહેરાત કર્યા પછી પણ તંત્ર તરફથી કોઇ મશીનરી કે કર્મચારીઓને નદીની સફાઇ કામગીરી માટે મોકલાયા જ નહતા. સાબરમતી રિવરફ્રન્ટ અને સોલિડ વેસ્ટ વિભાગ વચ્ચે કોઇ સંકલન જોવા મળ્યુ નહતું. નદીમાં ગટરના ગંદા પાણીને લઇને સફાઇ થઇ શકે એમ ના લાગતા અધિકારીઓએ પણ ચૂપકીદી સેવી લીધી હતી. ગુરૂવાર સવારથી સફાઇની કામગીરી શરૂ કરવામાં આવી છે.