
ચોમાસા દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ વધી જતું હોય છે, પરિણામે ત્વચામાં તેલનું ઉત્પાદન પણ વધી જાય છે. જેથી રોમછિદ્રો બંધ થવાની સમસ્યા થાય છે. જે ખીલ થવાનું કારણ બને છે.
યોગ્ય મોઈશ્ચરાઈઝર
ત્વચામાં નમી જાળવી રાખનારા અને ત્વચાને કોમળ અને હાઈડ્રેટ રાખનારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત મોઈશ્ચરાઈઝરની પસંદગી કરવી.
સોફ્ટ ક્લિઝિંગ કરવું
ત્વચાની નિયમિત સફાઈ ચોમાસાની ઋતુમાં આવશ્યક છે. હળવા ક્લિન્ઝરનો ઉપયોગ કરવો લીમડાયુક્ત ક્લિન્ઝરનો ઉપયોગ સલાહ ભરેલો છે. એલોવેરા જેલ પણ ચોમાસામાં ત્વચા માટે ફાયદાકારક છે.
વનસ્પતિથી બનેલા ફેસ સીરમનો ઉપયોગ
કુદરતી છોડવાઓના અર્કમાંથી બનેલા ફેસ સીરમ નમી પ્રદાન કરીને સ્કિનની સમસ્યાઓને દૂર કરે છે. પર્યાવરણ તત્ત્વોથી બનેલા ફેસ સીરમ ત્વચાને ચમકીલી અને સ્વસ્થ કરે છે.
સનસ્ક્રીન
ચોમાસામાં પણ ત્વચાની સુરક્ષા માટે સનસ્ક્રીન લગાડવું મહત્ત્વનું છે. સૂર્યના યૂવી કિરણોની સીધી અસર ત્વચા પર પડે છે. અને તેને હાનિ પહોંચાડે છે. તેથી ઓછામાં ઓછા ૩૦ એસીએફ અને જલપ્રતિરોધી ગુણોથી યુક્ત સનસ્ક્રીન લગાડવું.
ત્વચાને ક્લીન અને ટોન કરવી
ચોમાસામાં ત્વચાને નિયમિત રીતે સ્વચ્છ અને ટોન કરવી જરૂરી છે. ચહેરા પરના તેલ, ગંદકી અને પરસેવાને સાફ કરવા અને રોમ છિદ્રો બંધ થવાથી બચાવવા દિવસમાં બે વખત લીમડા અથવા એલોવેરાયુક્ત ફેસવોશથી ચહેરો ધોવો.
ફેસવૉશથી ચહેરો સાફ કરવો
ત્વચાને સ્વસ્થ રાખવા માટે સ્કિનને હાઈડ્રેટ રાખવી જરૂરી છે. વરસાદમાં ભીંજાયા પછી સ્નાન કરવું આવશ્યક હોવાથી સ્નાન કરી લેવું, ચહેરા પરથી વધુ પડતી નમી દૂર કરવા હળદર, લીમડો અને અલોવેરાના ફેસવોશથી ચહેરો ધોવો. ચોમાસામાં ત્વચાને ભેજથી રક્ષણ આપવા માટે કોરી-સુકી રાખવી જરૂરી છે.
ટોનરનો ઉપયોગ
વર્ષાઋતુમાં ખીલની સમસ્યાથી બચવા માટે ટોનરનો ઉપયોગ કરવો જરૂરી છે. ટોનર આપણી ત્વચાના પીએચ બેલેન્સને જાળવી રાખે છે અને રોમછિદ્રોને ખોલે છે. ગુલાબજળ એક ઉત્તમ ટોનર હોવાથી ફેસ ક્રીમના બદલે ગુલાબજળ લગાડવુ.
સ્ક્રબ
ડેડ સ્કિન થવી એ સામાન્ય છે. વરસાદની ઋતુમાં મૃત ત્વચાને દૂર કરવા અને રોમછિદ્રોને ખોલવા માટે અઠવાડિયામાં બે વખત સ્ક્રબ કરવું જરૂરી છે.
- જયવિકા આશર