
માનવ જીવનમાં જીવતત્વ અને શિવતત્ત્વ બન્નેનો મહિમા અનોખો છે. માનવીનાં મનમંદિરમાં શિવતત્વની ભાવના સદા અમર છે. આજના કાળમાં જીવ અને શિવ તત્વનો ભાવાર્થ દરેકે સમજવા જેવો છે. શિવની ઉપાસનમાં જીવ લાગવો તે ધન્યતાની નિશાની છે. તત્વત : જીવ અને શિવ બન્ને એક જ છે. આત્મા તે જ પરમાત્મા છે. જીવ અને શિવ બન્ને દેખી ન શકાય તેવા છે, પરંતુ અનુભવી જરૂર શકાય છે. આપણાં જીવનમાં ઘણીવાર એવી ઘટના બને છે ત્યારે આપણે બોલી ઉઠીએ છીએ કે 'મારો જીવ તો તાળવે ચોટી ગયો.' જીવ અને શિવ બન્ને અજર અમર છે. બન્ને શાશ્વત છે અનંતકાળ સુધી છે. શિવ અજન્મા છે. શિવ કલ્યાણકારી છે. આત્મા પરમાત્મામાં લીન થાય તે ભક્તિની પરાકાષ્ઠાની પહેચાન છે.
જીવ ખોળીયું બદલે છે. જીવ અન્ય શરીર ધારણ કરે છે. જ્યારે શિવ અચલ- અનંગ- અલગારી છે. શિવની કૃપા હોય તો જ જીવનો ઉદ્ધાર થાય છે. શિવમાં જીવ લાગે તો ભક્તની ભીડ ભાંગે છે. દરેક સજીવમાં જીવ હોય છે પછી તે પશુ-પંખી- વનસ્પતિ કે પ્રાણી હોઈ શકે છે. શિવ કરૂણાના સાગર છે. શિવ ભોળા છે. શિવને મંગલકારી પણ કહયા છે. શિવની ઉપાસના થકી માનવ જીવન મંગલકારી બને છે. શિવ શક્તિની ઉપાસનાથી જીવ અને જીવન બન્ને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. શંકર ત્રિપુરારિ છે. વિશ્વ શિવને પૂજે છે વખાણે છે. શિવના હાથમાં માનવીનું જીવન રહેલું છે. સાંપ્રત કળિકાળમાં જીવન શિવમય બને તે માટે શિવોપાસના હિતકારી છે. આવો આપણે શિવશંકરની કૃપા મેળવવા બધા જ પ્રયત્નો કરી આપણું જીવન સફળ કરીએ.