
Aravalli news: અરવલ્લીના મોડાસા ખાતે તેલના ડબ્બા પેકિંગમાં ઓછું વજન ભરીને ગ્રાહકો સાથે થતી છેતરપિડીમાં મોટી કાર્યવાહી થઈ છે. મધુમતી સોયાબીન તેલના ડબ્બાઓમાં નિયત વજન કરતાં ઓછું તેલ મળ્યું હોવાની ગ્રાહકોએ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તોલમાપ વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. મોડાસા માર્કેટ યાર્ડની શ્રીનાથ ટ્રેડર્સ અને રામદેવ ટ્રેડર્સ નામની દુકાનમાં આ કંપનીના ડબ્બાની તપાસ કરવામાં આવી છે. તેલના ડબ્બા દીઠ 300 ગ્રામ તેલની ઘટ હોવાની ગ્રાહકોની ફરિયાદને પગલે તપાસ થઈ હતી.
અરવલ્લીમાં માર્કેટયાર્ડમાં દુકાન ધરાવતા વેપારીએ તેલના પેકિંગમાં ઓછું વજન આપી ગ્રાહકો સાથે છેતરપિંડી આદરી હતી. સોયાબીન તેલના ડબ્બામાં ઓછું તેલ ભરીને ગ્રાહકો સાથે એક ડબ્બા દીઠ અંદાજે 40 રૂપિયાની લૂંટનો કારસો રચ્યો હતો. ગ્રાહકોની ફરિયાદ બાદ તોલમાપ વિભાગે તપાસ હાથ ધરી છે. મોડાસા GIDC ખાતેની મહેશ્વરી પ્રોટીન નામની ફેક્ટરીમાં પણ તપાસ થશે. તપાસ બાદ દોષિતો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.