
બુધવારે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે IPL 2025 ની છઠ્ઠી મેચ ખાસ બની ગઈ હતી. આ મેચમાં પહેલીવાર બીજા બોલના નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન રોયલ્સ IPL 2025માં બીજા બોલના નિયમનો ઉપયોગ કરનારી પ્રથમ ટીમ બની.
રાજસ્થાન રોયલ્સના સ્ટેન્ડ-ઈન કેપ્ટન રિયાન પરાગે KKRની ઈનિંગની 17મી ઓવરમાં બોલ બદલવાની માંગ કરી. જોકે, ટીમ તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી. રાજસ્થાન રોયલ્સને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો. રોયલ્સનો KKR સામે આઠ વિકેટથી પરાજય થયો.
બીજા બોલનો નિયમ શું છે?
સાંજની મેચોમાં ઝાકળની અસરને ઓછી કરવા માટે આ સિઝનમાં બીજા બોલનો નિયમ રજૂ કરવામાં આવ્યો હતો. બીજી ઈનિંગની 10મી ઓવર પછી ટીમ બોલ બદલવાની માંગણી કરી શકે છે. જોકે, નિર્ણય સંપૂર્ણપણે અમ્પાયર્સ પર નિર્ભર રહેશે કે બોલ બદલવાની સ્થિતિ શું હશે. એક નવો બોલ આપવામાં આવશે કે 10 ઓવરમાં બોલ જે સ્થિતિમાં હતો તેવી જ સ્થિતિની બોલથી બદલવામાં આવશે.
આ નિયમ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય મેચમાં બંને ટીમોને સમાન તક આપવાનો હતો, પરંતુ તેને ફેન્સ અને પૂર્વ ક્રિકેટર્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ મળી છે. કેટલાક લોકો કહે છે કે તેનાથી ઝાકળવાળી પિચ પર ચેઝ કરતી ટીમોને ફાયદો ઓછો થયો છે, જ્યારે અન્ય લોકો માને છે કે તેનાથી રમતની કુદરતી લયમાં ખલેલ પહોંચી શકે છે. નિયમમાં ફેરફારથી રાજસ્થાન રોયલ્સને કોઈ ફાયદો ન થયો કારણકે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે સરળતાથી ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
ક્વિન્ટન ડી કોકે શાનદાર ઈનિંગ રમી
સુનીલ નારાયણની ગેરહાજરીમાં, ક્વિન્ટન ડી કોકે શાનદાર ઈનિંગ રમી અને કોલકાતા નાઈટ રાઈડર્સને મોટી જીત અપાવી. જ્યારે બારસપરા સ્ટેડિયમની પિચ પર મોટાભાગના બેટ્સમેન સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે ડી કોકે પોતાનું શાંત વલણ જાળવી રાખ્યું અને પોતાના અનુભવનો લાભ ઉઠાવીને પોતાની ટીમને જીત અપાવી.
આ જીત સાથે, KKR એ IPL 2025માં પોતાનું ખાતું ખોલ્યું હતું. અજિંક્ય રહાણેની કેપ્ટનશિપમાં KKRની આ પહેલી જીત હતી. IPL 2025ની શરૂઆતની મેચમાં KKRને RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો.