એવું કહેવાય છે કે પ્રેમ વ્યક્તિને કંઈ પણ કરાવી શકે છે. કેટલાક કવિ બની જાય છે, તો કેટલાક સમુદ્ર પાર કરે છે, અને કેટલાક તેમના પ્રેમની યાદમાં ઈમારત બનાવે છે. મધ્યપ્રદેશના બુરહાનપુર શહેરમાં 52 વર્ષીય સ્કૂલ ટીચર આનંદ પ્રકાશ ચોક્સેએ તેમની પત્ની મંજુષા માટે કંઈક આવું જ કર્યું. તેણે પોતાની પત્ની માટે તાજમહેલ જેવું ઘર બનાવ્યું. મંજુષા પણ એક સ્કૂલ ટીચર છે. આ ઘર પ્રેમ અને સમર્પણના પ્રતીક તાજમહેલથી પ્રેરિત છે. ચોક્સેએ આ ઘર તેમના લગ્નના 27 વર્ષ ખાસ બનાવવા માટે બનાવ્યું હતું. આ ઘરને "પ્રેમનું પ્રતીક" તરીકે ઓળખવામાં આવે છે, જે શાહજહાંએ મુમતાઝ માટે બનાવેલા તાજમહેલની યાદ અપાવે છે.
આ ઘર મૂળ તાજમહેલનો એક તૃતીયાંશ ભાગ છે. તેને બનાવવામાં ત્રણ વર્ષ લાગ્યા હતા. આ ઘરમાં 29 ફૂટ ઊંચો ગુંબજ છે અને તે મકરાણા માર્બલથી બનેલો છે. મૂળ તાજમહેલમાં પણ આ જ આરસપહાણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘર ચોકસેની 50 એકર જમીન પર બનેલ છે. આ જમીન પર એક હોસ્પિટલ પણ છે. આ સુંદર ઘર જોવા માટે ઘણા પ્રવાસીઓ આવે છે. આ ઘરમાં 4 રૂમ, એક લાઈબ્રેરી અને એક મેડીટેશન રૂમ પણ છે.
2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો
એકઇન્ટરવ્યુમાં ચોક્સેએ જણાવ્યું હતું કે આ ઘર બનાવવામાં લગભગ 2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેણે તેની પત્ની સાથે ઘણી વખત આગ્રાની મુલાકાત લીધી. ત્યાં તેણે તાજમહેલના દરેક ભાગનું કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. ચોક્સેએ કહ્યું, "અમે ઈન્ટરનેટ પર મળેલી તાજમહેલની 3D ઈમેજનો પણ ઉપયોગ કર્યો." આ ઘર બનાવવા માટે ટેકનોલોજી અને મહેનત બંનેની જરૂરી હતા.
આધુનિકતા અને પરંપરાનું મિશ્રણ
ચોક્સેએ કહ્યું કે ઘરનો આંતરિક ભાગ સંપૂર્ણપણે ઇસ્લામિક નથી. તેમાં સોફા અને પડદા જેવી આધુનિક વસ્તુઓ પણ છે. તે ઘર ઉપર ભારતીય ધ્વજ ફરકાવવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત, આસપાસના મીનારાઓ પર ભારતના મુખ્ય ધર્મોના પ્રતીકો પણ બનાવવામાં આવશે. તેનું કહેવું છે કે આ એકતા અને શાંતિનો સંદેશ આપશે. ચોક્સેએ કહ્યું, "દુનિયામાં ઘણી બધી નફરત છે, પરંતુ પ્રેમ એ દરેક સમસ્યાનો ઉકેલ છે. તાજમહેલ પ્રેમનું પ્રતીક છે અને અમે આ સંદેશ ફેલાવવા માંગીએ છીએ."
આ ઘર બુરહાનપુરમાં આવેલું છે, જે એક ઐતિહાસિક શહેર છે અને એવું કહેવાય છે કે મુમતાઝ મહેલનું અવસાન પણ બુરહાનપુરમાં જ થયું હતું. ચોક્સેએ જણાવ્યું હતું કે તેણે આ ઘર બનાવવાનો વિચાર તેમની પત્ની સાથેના પ્રેમને અમર બનાવવા માટે કર્યો હતો. આ ઘર હવે એક પ્રવાસન સ્થળ તરીકે પણ ઉભરી રહ્યું છે, જ્યાં લોકો આવીને આ પ્રેમની નિશાનીને જોવા માટે આવે છે.