
Valsad news: વલસાડ શહેરમાં આવેલા વાઘેલધારા વિસ્તારમાં આવેલી ખરેરા નદી પર ધસમસતા પાણીના પ્રવાહમાં સ્કૂલ વર્ધી વાન ડ્રાયવર સાથે તણાઈ ગઈ હતી. જેને લઈ આસપાસના પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાંત અધિકારી, મામલતદાર સહિત ટીમ ઘટનાસ્થળે હાજર રહી ત્યારે એનડીઆરએફ અને તરવૈયાઓ દ્વારા રૅસ્ક્યૂ હાથ ધર્યું હતું.
મળતી વિગતો અનુસાર, વલસાડના વાઘેલધારામાં ખરેરા નદી પર વરસાદી પાણીમાં છલકાઈને પુલ પરથી પૂરના પાણી પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન સ્કૂલની વર્દી પૂર્ણ કર્યા બાદ વાનચાલક આ ધસમસતા પૂરમાંથી ગાડી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. વાન પસાર કરવા જતાં તે ખરેરા નદીમાં તણાઈ ગયો હતો.
જેથી ઘટનાસ્થળે NDRFની બે ટીમ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતની ટીમ સ્થળ પર હાજર રહીને વાન અને વાનચાલકને શોધી રહ્યા છે. NDRFના પ્રયત્નો વચ્ચે પારડીના ચંદ્રપુર વિસ્તારમાં તરવૈયાઓને પણ બોલવામાં આવ્યા છે જેઓ આવી ઘટનામાં કાર્ય કરવા માટે માહિર છે.