
નેપાળના કાઠમંડુમાં આવેલ ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક-ઓફ દરમિયાન થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. શૌર્ય એરલાઇન્સના વિમાન નંબર MP CRJ 200એ રન-વે બે પરથી પોખરા માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે ટેક-ઑફ કર્યા પછી તરત જ વિમાનમાં આગ લાગી હતી. જેમાં વિમાનમાં મુસાફરી કરી રહેલા 19 લોકોમાંથી 18ના મોત થયા છે. તો બીજી તરફ, પાઇલટનો આબાદ બચાવ થયો છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
નેપાળમાં થયેલી આ પહેલી ઘટના નથી. નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટી અનુસાર સન 1955થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 104 વિમાન દુર્ઘટના થઇ છે. જેમાંથી 44 દુર્ઘટના જીવલેણ હતી, જેમાં 900થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા. અહિયાં સવાલ એ છે કે નેપાળમાં જ કેમ વાંરવાર હવાઈ દુર્ઘટના થાય છે. ચાલો જાણીએ....
નેપાળમાં આ વિમાન દુર્ઘટના પ્રથમવાર બની નથી. આ અગાઉ સૌથી મોટો અકસ્માત જાન્યુઆરી 2023માં એક વિમાન ક્રેશ થયું હતું. યેતી એરલાઈન્સના વિમાન દુર્ઘટનામાં 68 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના બાદ દુનિયાભરમાં ખૂબ ચર્ચા થઈ હતી. મે 2022માં પણ નેપાળના પર્વતીય મુસ્તાંગ જિલ્લામાં એક વિમાન ક્રેશ થયું હતું. જેમાં 4 ભારતીયો સહિત 22 લોકોના મોત થયા હતા. માર્ચ 2018માં કાઠમંડુમાં જ ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટો અકસ્માત થયો હતો. 67 મુસાફરો અને 4 ક્રૂને લઈને જઈ રહેલું યુએસ-બાંગ્લા એરલાઇન્સનું વિમાન અહીં ક્રેશ થયું હતું. જેમાં 49 લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરી 2016માં પણ નેપાળના કાલીકોટ જિલ્લામાં 11 લોકોને લઈને જતું વિમાન ક્રેશ થયું હતું.
નેપાળમાં સૌથી ભયાનક વિમાન દુર્ઘટના 1992માં થઈ હતી, જેમાં 167 લોકોના મોત થયા હતા. વર્ષ 1992માં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના એક વિમાને કાઠમંડુમાં ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેવું શક્ય નહોતું બન્યું અને અકસ્માત થયો હતો.
નેપાળ તેના સુંદર પર્વતો અને ખીણો માટે જાણીતું છે. અહીં ત્રિભુવન એરપોર્ટના માર્ગમાં ટેકરીઓ આડી આવે છે. ત્રિભુવન એરપોર્ટ નેવિગેટ કરવા માટે વિશ્વના સૌથી મુશ્કેલ એરપોર્ટ પૈકી એક માનવામાં આવે છે. હકિકતમાં આ એરપોર્ટ અને તેની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ત્યાં હંમેશા પ્લેન ક્રેશ થવાની શક્યતા રહે છે. ત્રિભુવન એરપોર્ટ મધ્ય નેપાળમાં કાઠમંડુ ખીણમાં સ્થિત છે, જે ચારે બાજુથી હિમાલય પર્વતમાળાથી ઘેરાયેલું છે. હિમાલય અહીંથી ઘણા કિલોમીટર દૂર હોવા છતાં તેની નિકટતા સ્થાનિક હવામાન, દિશા અને પવનની તીવ્રતાને નોંધપાત્ર રીતે અસર કરે છે. હિમાલયમાંથી આવતા પવનોને કારણે અહીંનું હવામાન ગમે ત્યારે બદલાઈ જાય છે. આ પવનો વિમાનના લેન્ડિંગ અથવા ટેકઓફને પણ અસર કરે છે.
દેશની ભૌગોલિક બનવાટ યોગ્ય નથી
નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીએ વર્ષ 2019માં એક સેફટી રીપોર્ટ પ્રકાશિત કર્યો હતો, જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે દેશની ભૌગોલિક બનવાટ એવી છે કે જેનાથી વિમાનને ટેક-ઓફ કરવામાં મુશ્કેલી થાય છે. પૂરી દુનિયામાં આવેલા 14 સૌથી ઊંચા પહાડોમાંથી 8 નેપાળમાં આવેલા છે. માઉન્ટ એવરેસ્ટ પણ અહિયાં આવેલ છે. ચોમાસા દરમિયાન નેપાળની એવિએશન ઇન્ડસ્ટ્રી માત્ર અમુક પ્રકારના એરક્રાફ્ટ પર ભરોસો રાખે છે, કે જે નાની જગ્યાઓમાં ટેક-ઓફ અથવા લેન્ડ કરી શકે છે.
નાના વિમાનો માટે મુશ્કેલી વધુ
પર્વતો વચ્ચે આવેલા સ્થળોએ પહોંચવા માટે નેપાળ એવિએશન ઓથોરીટી નાના વિમાનો પર વધુ આધાર રાખે છે. જેના કારણે વિમાનને ટેક-ઓફ અને લેન્ડિંગ કરવામાં માટે વધારે જગ્યાની જરૂર પડતી નથી. જો કે, આ પણ મુશ્કેલીનું કારણ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અનુસાર, 19 સીટર અથવા તેના જેટલી જ ક્ષમતા ધરાવતા વિમાનો ઝડપથી અસંતુલિત થઈ જાય છે અને દુર્ઘટનાનો શિકાર બને છે.
વિશ્વનું સૌથી ખતરનાક એરપોર્ટ
નેપાળનું તેનઝિંગ હિલેરી એરપોર્ટ, જેને લુક્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો દુનિયાના સૌથી ખતરનાખ એરપોર્ટમાં સમાવેશ થાય છે. હિમાલયના હિમાચ્છાદીત પર્વતોમાં માઉન્ટ એવરેસ્ટ નજીક બનેલું આ એરપોર્ટ 9,325 ફૂટની ઊંચાઈએ આવેલું છે. ખૂબ જ ટૂંકા રનવેને કારણે અહીં માત્ર નાના વિમાનો જ ઉતરી શકે છે. આમાં પણ એક તરફ ટેકરીઓ તો બીજી તરફ ઊંડી ખીણ આવેલી છે. આ જ કારણથી ઉત્તર-પૂર્વ નેપાળના આ એરપોર્ટને વિશ્વનું સૌથી ખતરનાક એરપોર્ટ કહેવામાં આવે છે.
ચેતવણી છતાં પણ જૂના એરક્રાફ્ટનો ઉપયોગ કરાઈ રહ્યો છે
નેપાળમાં હજુ પણ હવાઈ મુસાફરી માટે જૂના એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખરાબ હવામાન દરમિયાન આ એરક્રાફ્ટ વિશ્વસનીય રહેતા નથી. એક વર્ષ પહેલા ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશને નેપાળ સાથે વિમાન દુર્ઘટના રોકવા માટે ભાગીદારી કરી હતી. ત્યારથી સલામતીને લગતા ધોરણોમાં વધારો થયો છે, પરંતુ હજી પણ દુર્ઘટના થઈ રહી છે.