સુરતના વાલક પાટીયા વિસ્તારમાં જમનાબા ભવનની નજીક આજે સવારે એક કારમાં અચાનક આગ લાગતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો. મળતી માહિતી અનુસાર કારના બોનેટના ભાગે શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.આગ એટલી ઝડપથી પ્રસરી કે જોતજોતામાં સમગ્ર કાર જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. ઘટના સમયે માર્ગ પરથી પસાર થતા લોકો તેમજ આસપાસના રહેવાસીઓમાં અફરા-તફરી મચી ગઈ હતી. સાવધાનીના ભાગરૂપે થોડીવાર માટે માર્ગ બંધ કરવો પડ્યો હતો જેથી કોઈ જાનહાનિ ન થાય.આગ લાગવાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને જહેમતભરી કવાયત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળ રહી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હાથ ધરવામાં આવી છે.