ડાયમંડ સીટી સુરત શહેરમાં રત્નકલાકારોની કફોડી બનેલી આર્થિક સ્થિતિ વચ્ચે સરકારમાં રજુઆતો કરવા છતા કોઇ નિવેડો નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 30મી માર્ચે સામુહિક હડતાળની જાહેરાત કરી હતી. જેને પગલે કલેકટર અને લેબર વિભાગે બેઠકો યોજી હતી, પણ સરકાર તરફથી બાદમાં કોઇ નિર્ણય નહી લેવાતા તા.30, 31 બે દિવસ હડતાળનો નિર્ણય લેવાયો છે. રવિવારે કતારગામથી હીરાબાગ સુધી રત્નકલાકારોની રેલી યોજાઈ છે.
કતારગામ દરવાજા ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું
કતારગામ દરવાજા ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રત્ન કલાકારો પોતાની માંગણીઓ રજૂ કરવા એકઠા થયા છે. પોલીસે રેલી પહેલાં જ લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. રત્ન કલાકારોની મુખ્ય માંગણીઓમાં 30ટકાપગાર વધારો, આપઘાત કરનારા રત્ન કલાકારોના પરિવારોને આર્થિક પેકેજ અને ઉદ્યોગની મંદીમાંથી બહાર નીકળવા માટે નક્કર પગલાં લેવાનો સમાવેશ થાય છે.
રેલીમાં પાંચ હજાર જેટલા રત્નકલાકારો જોડાવાની શક્યતા
સુરત ડાયમંડ વર્કર એસોસીએશન દ્વારા છેલ્લા એક મહિનાથી રત્નકલાકારોને કનડગતા પ્રશ્નોને લઇને જિલ્લા કલેકટરથી લઇને છેક મુખ્યમંત્રી સુધી રજુઆતો કરી છે. રત્નકલાકારોની માંગણી છે કે ડાયમંડ મજુરીના ભાવો વધારવા માટે ઉચ્ચસ્તરીય કમિટી બનાવવામાં આવે. રત્નકલાકારને આર્થિક સહાય, આપધાત કરનાર રત્નકલાકારાના પરિવારોને મદદ અને વ્યવસાય વેરો નાબુદ કરવામાં આવે અને સરકાર દ્વારા રત્નકલાકારો માટે જે પોઝીટીવ ચર્ચાઓ થાય છે તે પોઝીટીવ જાહેરાત કરે એવી માંગ કરાઇ રહી છે.
30 માર્ચ અને સોમવારે 31 માર્ચે બે દિવસ હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ડાયમંડ વર્કર એસોસીએશનના ભાવેશ ટાંકે જણાવ્યુ કે, અમે સરકારને પુરતો સમય આપ્યો પણ તેમના તરફે કોઇ નિર્ણય લેવાયો નથી જેથી હડતાળ પાડીને માંગણી અને લાગણી વ્યક્ત કરવા સિવાય વિકલ્પ નથી. તા.30 માર્ચે સવારે 9 કલાકે કતારગામ દરવાજાથી રત્નકલાકોની રેલી શરૂ થઈ હતી.આ રેલી નંદુદોશીની વાડી થઇ કિરણચોકથી વરાછા હીરાબાગ પહોંચી સંપન્ન થશે. રેલીમાં પાંચ હજાર જેટલા રત્નકલાકારો જોડાશે. સોમવારે લડતની આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.
સુરત ડાયમંડ એસોસીએશન અને જીજેઇપીસી સામે રત્નકલાકારોમાં ભારે નારાજગી
રત્નકલાકારોએ બળાપો કાઢયો છે કે, હીરા ઉદ્યોગની બે મોટી સંસ્થા જેમ્સ એન્ડ જેવલર્સ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઇપીસી) તથા સુરત ડાયમંડ એસોસિએશન તરફથી રત્નકલાકારો માટે કોઇ ચોક્કસ રણનીતિ કે સરકાર સમક્ષ રત્નકલાકારોની સમસ્યાઓનો યોગ્ય સ્તરે અને યોગ્ય રીતે ઉકેલ આવે એવા કોઇ પગલા ભરાયા નથી. છેલ્લા અઢી વર્ષથી રત્નકલાકારોની સ્થિતિ કફોડી છતા ઉકેલ નહી આવતા આક્રોશ વધી રહ્યો છે.