પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કોલકાતામાં ઇમામોના સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે, મુર્શિદાબાદ હિંસા માટે ભાજપ જવાબદાર છે. મમતાએ કહ્યું કે, આ હિંસા સંપૂર્ણપણે આયોજનબદ્ધ હતી. હું કેન્દ્ર સરકારને પડકાર ફેંકું છું કે, તેમણે આટલી ઉતાવળમાં વકફ કાયદો કેમ પસાર કર્યો? શું તેને બાંગ્લાદેશની પરિસ્થિતિની ખબર નથી? શું તમે બંગાળમાં રમખાણો કરાવવા માટે બહારથી લોકોને બોલાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ નથી કર્યો? BSF એ હિંસા કેમ ન રોકી?
મોદીજીને વિનંતી કરું છું કે તેઓ અમિત શાહને નિયંત્રિત કરે
મમતા બેનર્જીએ કહ્યું કે, હું પીએમ મોદીજીને વિનંતી કરું છું કે તેઓ અમિત શાહને નિયંત્રિત કરે. અમિત શાહ અમારી વિરુદ્ધ એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે PM મોદી વડાપ્રધાન નહીં હોય ત્યારે શું થશે? આવું પહેલી વખત નથી જ્યારે મમતા બેનર્જીએ અમિત શાહ પર નિશાન સાધ્યું હોય. વર્ષ 2022માં મમતાએ કહ્યું હતું કે, તેમને નથી લાગતું કે તપાસ એજન્સીઓના દુરુપયોગ પાછળ PMનો હાથ હોય. કારણ કે CBI અને ED ગૃહ મંત્રાલય હેઠળ આવે છે.
બંગાળમાં બદમાશોની ઘૂસણખોરી માટે BSF જવાબદાર
મમતાએ કેન્દ્ર પર પ્રહારો કરતા કહ્યું કે, બંગાળ સાથેની 2200 કિલોમીટર લાંબી બાંગ્લાદેશ સરહદની સુરક્ષા માટે BSF તૈનાત છે. એટલે બાંગ્લાદેશથી બંગાળમાં બદમાશોની ઘૂસણખોરી માટે BSF જવાબદાર છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે બહારના લોકોને બોલાવીને હિંસા કરાવી છે. વક્ફ અંગે લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા. મુર્શિદાબાદમાં થયેલી હિંસા એક સુનિયોજિત કાવતરું હતું. ઘુસણખોરોને શા માટે પશ્ચિમ બંગાળમાં આવવા દેવામાં આવ્યા? હું ઇન્ડિયા ગઠબંધનને આની સામે એક થવા અપીલ કરું છું. આની અસર બધા ઉપર થશે. અમને શાંતિ જોઈએ છે.
પશ્ચિમ બંગાળમાં BJP આવી તો તમારું ખાવા પીવાનું બંધ કરી દેશે
બેનર્જીએ કહ્યું કે અમે હિન્દુ-મુસ્લિમ નામે વિભાજન નહીં થવા દઈએ. આ ફક્ત એક વ્યક્તિનો મામલો નથી. અમે ભાગલા થવા દઈશું નહીં. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ વક્ફ મુદ્દે મૌન છે. આ લોકો વકફ પર કેમ ચૂપ છે? આ લોકોને ફક્ત સત્તાની જ પરવા છે. જ્યાં સુધી અમે રહીશું ત્યાં સુધી હિન્દુ મુસ્લિમ નહીં થવા દઈએ. જો પશ્ચિમ બંગાળમાં BJP આવી તો તમારું ખાવા પીવાનું બંધ કરી દેશે.
ભાજપ તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે
મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપ તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે. હું હિન્દુ સમુદાયને અપીલ કરવા માંગુ છું કે, તેઓ ભાજપના ઉશ્કેર્યા ઉશ્કેરાય નહીં. કૃપા કરીને શાંતિનો સંદેશ ફેલાવો. અમે NRC, CAA અને વક્ફને સમર્થન આપતા નથી. હું રમખાણોને કે તોફાનીઓને ટેકો આપતી નથી. આ તમારા સમુદાયને બચાવવા માટેની લડાઈ નથી. આ ભારતના બંધારણને બચાવવાની લડાઈ છે. ઉશ્કેરણી કરનારાઓનાના ચૂંગાલમાં આવીને તમે માત્ર ભાજપની મદદ કરી રહ્યા છો.