
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાંથી લગભગ 10 લાખ પેલેસ્ટિનિયનોને કાયમી ધોરણે લિબિયામાં સ્થળાંતર કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. શુક્રવારે આ બાબતથી પરિચિત પાંચ સ્ત્રોતોને ટાંકીને આ માહિતી આપી હતી. અહેવાલ મુજબ, ચર્ચાઓની સીધી જાણકારી ધરાવતા બે લોકો અને એક ભૂતપૂર્વ યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે આ યોજના પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે, અને યુએસ અને લિબિયન નેતૃત્વ વચ્ચે વાટાઘાટો પહેલાથી જ ચાલી રહી છે.
માહિતી અનુસાર યુએસ સરકાર પેલેસ્ટિનિયનોના પુનર્વસનના બદલામાં એક દાયકા કરતાં વધુ સમય પહેલાં બ્લોક કરાયેલા લિબિયાને અબજો ડોલરના ભંડોળ મુક્ત કરશે. અહેવાલમાં જણાવાયું છે કે હજુ સુધી કોઈ અંતિમ સમજૂતી થઈ નથી અને ઇઝરાયેલને વહીવટીતંત્રની ચર્ચાઓ વિશે માહિતી આપવામાં આવી છે. જોકે, યુએસ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'આ અહેવાલો ખોટા છે. આવી કોઈ યોજના માટે કોઈ પાયાનો આધાર નથી અને આ બાબતે કોઈ ચર્ચા પણ થઈ નથી. આ સમાચારોનો કોઈ અર્થ નથી.
લિબિયા પર બે હરીફ પ્રશાસકો શાસન કરે છે
2011 માં નાટો સમર્થિત બળવા દ્વારા લાંબા સમયથી શાસક સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીને સત્તામાંથી હાંકી કાઢવામાં આવ્યા અને પછીથી તેમની હત્યા કરી દેવામાં આવી હતી. પછી દેશનું વિભાજન થયું હતું, તેના પૂર્વ અને પશ્ચિમ ભાગો બે હરીફ લશ્કરી જૂથો દ્વારા નિયંત્રિત હતા. લિબિયા હાલમાં બે સ્પર્ધાત્મક પ્રશાસકો દ્વારા શાસન હેઠળ છે. અબ્દુલ હમીદ દબીબેહના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય એકતાની સરકાર (Government of National Unity), અને ઓસામા હમ્માદના નેતૃત્વ હેઠળ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ-સમર્થિત રાષ્ટ્રીય સ્થિરતાની(Government of National Stability) સરકાર, જે લિબિયન નેશનલ આર્મી અને તેના કમાન્ડર ખલીફા હફ્તારના વાસ્તવિક શાસન હેઠળ છે. GNU ત્રિપોલીમાં સ્થિત છે અને દેશના પશ્ચિમ ભાગને નિયંત્રિત કરે છે, જ્યારે GNS પૂર્વીય અને મધ્ય પ્રદેશોમાં કાર્યરત છે. આ વિભાજનથી લિબિયામાં સત્તાના બે કેન્દ્રો બન્યા છે, જેમાં બે સરકારો દેશની કાયદેસરતા અને નિયંત્રણ માટે સ્પર્ધા કરી રહી છે.
ઇઝરાયેલે ગાઝા અને યમનમાં હુમલાઓ વધાર્યા
દરમિયાન, ઇઝરાયેલે શુક્રવારે ગાઝામાં ડઝનબંધ હવાઈ હુમલા કર્યા, જેમાં 108 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતા, એમ સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું. ઇઝરાયેલી અધિકારીઓએ તેના બંધકોને મુક્ત કરવા માટે હમાસ પર દબાણ કરવાના અભિયાનની શરૂઆત તરીકે વર્ણવ્યું. ઇઝરાયેલે યમનના બે બંદરો પર પણ હુમલો કર્યો હતો, જેનો ઉપયોગ હુથી આતંકવાદી જૂથ દ્વારા શસ્ત્રોના પરિવહન માટે કરવામાં આવતો હતો.
સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને નવ ઘાયલ થયા હતા. દરમિયાન, હમાસના ગાઝા વડાએ જણાવ્યું હતું કે આ જૂથ ઇઝરાયેલ દ્વારા જેલમાં બંધ ચોક્કસ સંખ્યામાં પેલેસ્ટિનિયનો સાથે તમામ બંધકોને બદલવા માટે તાત્કાલિક વાટાઘાટો કરવા તૈયાર છે, જેનાથી આ ક્ષેત્રમાં યુદ્ધનો અંત આવશે. ઇઝરાયેલ સાથે પરોક્ષ વાટાઘાટો માટે હમાસ વાટાઘાટ ટીમના વડા ખલીલ અલ-હય્યાએ એક ટેલિવિઝન ભાષણમાં કહ્યું કે જૂથ વચગાળાના યુદ્ધવિરામ કરારને નકારે છે.