
Rajkot News: રાજકોટ શહેરમાં વોર્ડ નં.16 ભાજપના કોર્પોરેટર પર ભ્રષ્ટાચારના આક્ષેપનો મામલો સામે આવ્યો છે. ભાજપના જ કાર્યકર્તા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. બાંધકામ ન તોડવાના કમલેશ ગોસાઈ નામના ભાજપના કાર્યકર્તાએ કોર્પોરેટર નરેન્દ્ર ડવને રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદી પાસેથી ઘર ન તોડવા 4 લાખ લીધા છતાં પણ તોડ્યું
આક્ષેપ લગાવતા ભાજપ કાર્યકર્તા કમલેશ ગોસાઈએ જણાવ્યું કે, વોર્ડ નં. 16ના કોર્પોરેટર નરેન્દ્ર ડવે રૂ.4 લાખ લીધા અને રૂપિયા લઈને પણ બાંધકામ તોડી નાખ્યું. મારા જેવા બીજા 40 લોકો છે જેની પાસેથી કોર્પોરેટર નરેન્દ્ર ડવે બાંધકામના રૂપિયા લીધા હોય. આ સાથે કમલેશ ગોસાઈએ કાગળ પણ જાહેર કર્યા હતા.
કોર્પોરેટરે ગોળગોળ જવાબ આપી આક્ષેપ નકાર્યા
આક્ષેપને મામલે કોર્પોરેટર નરેન્દ્ર ડવએ ગોળ ગોળ જવાબ આપ્યા છે. પોતાના ઉપર થયેલા આક્ષેપને લઈને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આક્ષેપ કરનારને હું ૩-૪ દિવસ પહેલા જ મળ્યો હતો. જે આક્ષેપ મારા ઉપર થયો છે ઉપજાવી કાઢેલી વાત છે. મારા વિરુદ્ધ મારા હિતશત્રુઓ ષડયંત્ર કરી રહ્યા છે. મેં આક્ષેપ કરનારા પાસેથી કોઈ રકમ લીધી નથી.
નરેન્દ્ર ડવે ફરિયાદી સાથે રૂબરૂ વાત કરી તેમ જણાવ્યું ત્યારે જ નિવેદનમાં ટેલિફોનિક વાત થઇ એમ કહ્યું. કોર્પોરેટરના ગોળ ગોળ જવાબ શંકાશીલ, TPO શાખા અગાઉથી જ ભ્રષ્ટાચારના આરોપસર વિવાદમાં છે. ત્યારે આ ઘટનામાં સત્ય શું ? તે બહાર આવશે કે ભીનું સંકેલાશે તે જોવું રહ્યું.