
Vadodara News: જામનગરના વતની અને સુરતની ગોત્રી મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થી કે જેનું ગઈકાલે અંકોડિયા (નર્મદા)ની કેનાલમાં ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નીપજયું છે. ચાર મિત્રો નર્મદા કેનાલ પાસે ફરવા ગયા હતા, જે દરમિયાન જામનગર અને સુરતના બે તબીબી વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવની જાણ થતાં જામનગરમાં મૃતકના પરિવારમાં શોકનું મોજુ છવાયું છે.
આ કરુણા જનક બનાવની વિગત એવી છે કે, વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થી અને તેની સાથેના અન્ય ત્રણ વિદ્યાર્થીઓ કે જેઓ ગઈકાલે વડોદરા નજીક અંકોડિયા ગામની કેનાલ પાસે ફરવા માટે ગયા હતા, જે દરમિયાન એક વિદ્યાર્થીનું ચપ્પલ પાણીની કેનાલમાં પડી જતાં તે લેવા જતી વેળાએ જામનગર અને સુરતના બે તબીબી વિદ્યાર્થીઓના પાણીમાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ નિપજયા છે. જેથી ભારે કરુણાંતિકા છવાઈ છે.
જામનગરના વતની અને ગોત્રી મેડિકલ કોલેજમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા પ્રેમ પ્રવિણભાઈ માતંગ (ઉ.વ.21) અને સુરતના આદિત્ય રામકૃષ્ણ (21 વર્ષ) ઉપરાંત તેમની સાથે અભ્યાસ કરતા અન્ય બે મેડિકલ વિદ્યાર્થીઓ સંકેત નહાટો અને અંશ પારગી સાથે ફરવા માટે ગયા હતા. ચારેય મિત્રો અંકોડીયા નર્મદા કેનાલ પાસે ઊભા હતા, તે વખતે એક વિદ્યાર્થીનું ચંપલ કેનાલમાં પડી ગયુ હતું. જે ચંપલ લેવા જતાં આદિત્ય અને પ્રેમ બંને કેનાલમાં પડી જતાં ડૂબી ગયા હતા.
દરમિયાન બહાર ઊભેલા અન્ય બે મિત્રોએ બૂમાબૂમ કરતાં કેટલાક લોકો દોડી આવ્યા, અને ફાયર બ્રિગેડને જાણ કરાતાં લશ્કરની ટીમ પણ સ્થળ પર આવી ગઇ હતી. ભારે શોધખોળ બાદ બંનેના મૃતદેહો કેનાલમાંથી મળ્યા હતા. જે બનાવની જાણ થતાં તાલુકા પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર દોડી ગયો હતો અને બંનેના મૃતદેહોને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી દીધા હતા. આ બનાવ અંગે મૃતકના જામનગરમાં રહેતા પરિવારજનો અને સુરતમાં વસતા પરિવારજનોને જાણ કરાતાં બંનેનો પરિવાર વડોદરા દોડી ગયો છે, અને ભારે કરુણ દ્રશ્યો સર્જાયા છે.