
આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અવારનવાર ભાજપમાં જોડાવવા માટેની ઓફર વિશે આક્ષેપ લગાવવામાં આવતા હોય છે. એવામાં 'આપ' ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાજપમાં જોડાવાની અફવાઓનું ખંડન કર્યું છે. ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, મને રાજકીય રીતે નુકસાન પહોંચાડવા માટે મારા વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. હું ભાજપમાં જોડાઈશ એવી તમામ અફવાઓનું હું ખંડન કરું છું.
વધુમાં ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, મેં અગાઉ ખુલાસો કર્યો હતો અને આજે પણ જણાવી રહ્યો છું કે હું ક્યારેય પણ ભાજપમાં જોડાઈશ નહીં. જે પણ લોકો આ રીતે ફેક ન્યુઝ ફેલાવી રહ્યા છે તેમના વિરુદ્ધ અમે કાયદેસરના પગલાં લઈશું. આમ આદમી પાર્ટી 2027ની વિધાનસભા ચૂંટણી પૂરી તાકાત સાથે લડવા જઈ રહી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ અમે મજબૂતાઈથી લડવા જઈ રહ્યા છીએ. મીડિયાએ મુદ્દા ઉઠાવવા હોય તો અદાણીના પોર્ટ પર મળતા ડ્રગ્સનો મુદ્દો ઉઠાવે, ખેડૂતોનો મુદ્દો ઉઠાવે. આજે ગુજરાત વિધાનસભામાં સૌથી વધારે સવાલ પૂછનારા ધારાસભ્ય તરીકે પહેલા નંબર પર ઉમેશભાઈ મકવાણાનું નામ આવે છે.
'આપ' નેતા ગુલાબસિંહ યાદવે બોટાદમાં જે સંગઠન બની રહ્યું છે તે સંગઠન પણ ઉમેશભાઈ મકવાણાની સહમતિ સાથે જ બનશે. તેમજ અન્ય 'આપ' નેતા રાજેશ શર્માએ જણાવ્યું કે, વિસાવદરમાં આયોજીત અમારું કાર્યકર્તા મહાસંમેલન ખૂબ જ સફળ રહ્યું જેના કારણે અમુક લોકોએ બૌખલાહટમાં આવીને આ રીતની ખોટી અફવાઓ ફેલાવી હોય તેવું લાગી રહ્યું છે. વિસાવદરની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીનું કામ ખૂબ જ તેજીમાં ચાલી રહ્યું છે. ઈમાનદાર ધારાસભ્ય ઉમેશ મકવાણાને મીડિયા પ્રોત્સાહિત કરે અને તેમના વિરુદ્ધ ખોટી અફવાઓ ન ફેલાવે.