ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની ત્રણ દિવસ આગાહી છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે ભાવનગરમાં નદી નાળા છલોછલ થયા છે. વલભીપુર ભાવનગર હાઇવેને જોડતો ચમારડી પાસે આવેલ ચોગઠના ઢાળ પાસેનો પુલ ઉપર પાણી ફરી વળતાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે. કાળુભાર નદીમાં ઘોડાપુર આવતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
ભાવનગર શહેરમાં પણ પાટીદાર રેસીડેન્સી સોસાયટીમાં 17 વર્ષ બાદ પાણી ભરાયાની ઘટના સામે આવી છે. ભાવનગર રોડ પર આવેલ પાટીદાર રેસીડેન્સી સોસાયટીમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે. નદી નાળાઓમાં દબાણને પગલે પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે.
હળવદ તાલુકાના શકિતધામ દિઘડીયા બ્રાહ્મણી નદીનું રોદ્રસ્વરૂપ જોવા મળ્યું છે. પુલ ઉપર ત્રણ ફૂટ પાણી વહી રહ્યું હોય વાહન વ્યવહાર બંધ કરાયો છે. પુલ ઉપર પાણી ફરી વળતાં વાહન ચાલકો પરેશાન થયા છે. હળવદ -સરાને જોડતો રસ્તો સંપૂર્ણ બ્લોક થયો છે. હળવદ તાલુકાના દીઘડિયા તેમજ આજુબાજુના નજીકના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.