
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ સ્પીચમાં ભલે રેલ્વેનો ઉલ્લેખ કર્યો ના હોય પરંતુ આ વખતે બજેટમાં રેલ્વેને 2.52 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ફાળવણી અને બજેટને શાનદાર ગણાવતા કહ્યું કે ભારતીય રેલવે માટે આ રકમ મહત્ત્વપૂર્ણ છે. રેલવે મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આગામી બેથી ત્રણ વર્ષમાં 200 નવી વંદે ભારત ટ્રેન, 100 અમૃત ભારત ટ્રેન, 50 નમો ભારત રેપિડ રેલ અને 17,500 જનરલ નૉન-એસી કોચ જોડવામાં આવશે.
આગામી નાણાકીય વર્ષ માટે રેલ્વેનું બજેટ ગત વર્ષ જેવું જ રાખવામાં આવ્યું છે જેમાં 2.52 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જોકે, તેમાં 10,000 કરોડની ફાળવણી વધારાના બજેટીય સંસાધનોથી કરવામાં આવી છે જેનો ઉપયોગ રેલ્વેના ખર્ચને પૂર્ણ કરવા અને તેના આધુનિકીકરણ માટે કરવામાં આવશે, જેનો અર્થ એ છે કે કુલ મૂડી ખર્ચ ₹2.62 લાખ કરોડ થશે.
રેલ મંત્રીએ શું કહ્યું?
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતીય રેલ્વે હવે તેના લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ કામ કરી રહી છે અને આ નાણાકીય વર્ષના અંત સુધીમાં તે 160 કરોડ ટન માલનું વહન કરતું બીજું સૌથી મોટું માલવાહક નેટવર્ક બનશે. રેલ મંત્રીએ એમ પણ કહ્યું કે ભારતીય રેલ્વે નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં 100 ટકા વીજળીકરણ પ્રાપ્ત કરશે. ભારતીય રેલ્વેએ સસ્તી મુસાફરી માટે 17,500 નોન-એસી જનરલ અને સ્લીપર કોચ બનાવવાની યોજનાની જાહેરાત કરી છે.
અમૃત ભારત ટ્રેનનો ઉલ્લેખ
ભારતીય રેલ્વેએ અમૃત ભારત ટ્રેનોનો પણ ઉલ્લેખ કર્યો છે. જે એક નવી પેઢીની નૉન-એસી ટ્રેન સેટ્સ છે, જેને ચેન્નાઇ સ્થિત ઇંટીગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા વિકસિત કરવામાં આવી છે. સરકારે 100 આવા ટ્રેન સેટ બનાવવાની વાત કરી છે જેથી મુસાફરોને સસ્તી મુસાફરી મળી શકે.
દુર્ઘટનાને રોકવા માટે પગલા ભરવામાં આવશે
મુસાફરોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરતા ભારતીય રેલવે આગામી પાંચ વર્ષમાં ICF (ઇંટીગ્રલ કોચ ફેક્ટરી) કોચોથી LHB (લિંકે-હૉફમેન-બુશ) કોચમાં પુરી રીતે બદલાવ કરવાની યોજના બનાવી છે.