
સુરતના ઉધના વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધોરણ ૮માં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થી કાર્તિક અનિલ મોહિતેને સુરત મહાનગરપાલિકા (SMC)ની કચરાની ગાડીએ અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કાર્તિક તેમના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું. જેના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ઘટના કેવી રીતે બની?
પ્રાપ્ત વિગતો અનુસાર કાર્તિક મોહિતે રાત્રિના સમયે પોતાની બે બહેનો સાથે ઘરના નજીક બહાર નીકળ્યા હતા. ત્યારે SMCની કચરાની ગાડી અચાનક પૂર ઝડપે આવી અને કાર્તિકને અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયા. તાત્કાલિક ગમખ્વાર ઈજા થવાથી કાર્તિકનો ઘટનાસ્થળે જ કરૂણ અંત આવ્યો હતો. બનાવની જાણ થતાં જ ઉધના પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્તિકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યો હતો. તેમજ કચરાની ગાડીના ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવાને લઈને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પરિવારની સ્થિતિ
મૃતક કાર્તિકના પિતા અનિલ મોહિતે એક શ્રમજીવી પરિવારના સભ્ય છે. કાર્તિક તેમનો એકમાત્ર દીકરો હતો અને પરિવાર તેના ભવિષ્ય માટે અનેક સપનાઓ બાંધીને બેઠો હતો. એકમાત્ર પુત્રના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. શોકમાં ગરકાવ પરિવારની હાલત ગંભીર છે અને વિસ્તારના લોકો પરિવારને ધીરજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. ઘણા લોકોની માંગ છે કે રોડ સલામતી માટે પાલિકા દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે અને આવા વાહનોના ચાલકોને ટ્રેઇનિંગ તથા મર્યાદિત ઝડપના નિયમોની કડક અમલવારી કરવી જોઈએ.