
કોંગ્રેસના સાંસદ શશી થરૂરે સ્પષ્ટતા કરી કે, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. જણાવી દઈએ કે, હાલમાં એક ન્યૂઝ પેપરમાં પ્રકાશિત થયેલા એક લેખમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કર્યા પછી ભાજપમાં જોડાવાની અટકળોનો દોર શરૂ થયો હતો. થરૂરે એવા સમયે પીએમ મોદીની પ્રશંસા કરી હતી જ્યારે કોંગ્રેસ વિદેશ નીતિના મુદ્દે સતત એનડીએ સરકારને ઘેરી રહી છે.
આ તો ફક્ત ભારતની વિદેશ નીતિ છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શશી થરૂરે કહ્યું, 'આ એક લેખ છે જેમાં મેં આઉટરીચ મિશનની સફળતા વિશે વાત કરી છે, જે તમામ પક્ષોની એકતા દર્શાવે છે.' તેમણે કહ્યું, 'મેં કહ્યું હતું કે, PM મોદીએ પોતે અન્ય દેશો સાથે વાતચીતમાં ગતિશીલતા અને ઉર્જા દર્શાવી છે. ભાજપની વિદેશ નીતિ કે કોંગ્રેસની વિદેશ નીતિ એવી કોઈ વસ્તુ જ નથી. આ તો ફક્ત ભારતની વિદેશ નીતિ છે. કોઈ પાર્ટીની નહીં પરંતુ દેશના વિકાસ માટે વિદેશી રાજનીતિનો ભાગ છે.
આ તો રાષ્ટ્રીય એકતાનો સંદેશ છે
શશી થરૂરે કહ્યું કે, ' આજ વાત મેં 11 વર્ષ પહેલાં જ્યારે હું સંસદની વિદેશ બાબતો સમિતિનો અધ્યક્ષ બન્યો ત્યારે પણ કહી હતી.' આ કોઈ વડાપ્રધાનની પાર્ટીમાં જવાનો સંકેત નથી. આ તો રાષ્ટ્રીય એકતાનો સંદેશ છે.'
વૈશ્વિક મંચ પર ભારત માટે એક મહત્વપૂર્ણ પૂંજી બની
શશી થરૂરે અંગ્રેજી દૈનિક માટે લખેલા આર્ટિકલમાં કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર' પછી થયેલ રાજદ્વારી સંપર્ક રાષ્ટ્રીય સંકલ્પ અને અસરકારક સંવાદની ક્ષણ હતી. આ આર્ટિકલમાં થરૂરે લખ્યું છે કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉર્જા, તેમનું બહુપક્ષીય વ્યક્તિત્વ અને વાતચીત કરવાની તત્પરતા વૈશ્વિક મંચ પર ભારત માટે એક મહત્વપૂર્ણ પૂંજી બની. પરંતુ તેને હજુ વધુ સમર્થનની જરૂર છે.'
ભાજપની પ્રતિક્રિયા
વડાપ્રધાન કાર્યાલયે થરૂરના આ લેખને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કર્યો અને કહ્યું, 'લોકસભા સભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. શશિ થરૂર લખે છે: 'ઓપરેશન સિંદૂરથી સંબંધિત વૈશ્વિક પહોંચથી શીખ.'
ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, 'શશી થરૂરે સ્વીકાર્યું છે કે, વડાપ્રધાન મોદીનું બહુપક્ષીય વ્યક્તિત્વ અને વૈશ્વિક પહોંચ ભારત માટે વ્યૂહાત્મક રીતે ફાયદાકારક છે.' ભંડારીએ કહ્યું હતું કે, 'શશી થરૂરે રાહુલ ગાંધીને બેનકાબ કરી દીધા છે.