
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે બંધારણમાં સુધારા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક કાર્યક્રમ દરમિયન કહ્યું કે, 'બંધારણની પ્રસ્તાવના બદલી શકાતી નથી. વિશ્વના અન્ય કોઈ પણ દેશની પ્રસ્તાવનામાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ ભારતમાં એક વાર બદલાવ થયો હતો. આ પ્રસ્તાવના વર્ષ 1976ના 42મા બંધારણ (સુધારા) અધિનિયમ દ્વારા બદલાવ કરાયો હતો. આ સુધારા દ્વારા તેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. ડો. બી.આર. આંબેડકરે બંધારણ પર ખૂબ મહેનત કરી હતી અને તેમણે ચોક્કસપણે આના પર ધ્યાન કેન્દ્રિત આપ્યું હશે.'
કટોકટી દરમિયાન પ્રસ્તાવનામાં ઉમેરવામાં આવેલા શબ્દો નાસૂર સમાન
બંધારણની પ્રસ્તાવનામાંથી ધર્મનિરપેક્ષતા અને સમાજવાદ શબ્દો દૂર કરવા અંગે RSSના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેના નિવેદન પર વિવાદ ઉભો થયો છે. દરમિયાન શનિવારે (28 જૂન, 2025) ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાને આયોજિત એક કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવા પર બંધારણ અને પ્રસ્તાવના વિશે વાત કરી. તેમણે કહ્યું કે, કટોકટી દરમિયાન પ્રસ્તાવનામાં ઉમેરવામાં આવેલા શબ્દો નાસૂર સમાન છે. સનાતનની આત્માનું અપમાન કરવામાં આવ્યું હતું. અન્યાયની કેટલી મોટી વિડંબના છે. પહેલા આપણે એવી વસ્તુ બદલીએ છીએ જે બદલવી ન જોઈએ અને એ પણ એવા સમયે જ્યારે સમગ્ર દેશમાં કટોકટી લાદી હોય.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર,ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દોની સમીક્ષા કરવા આહ્વાન કર્યું હતું. RSS અનુસાર આ શબ્દો કટોકટી દરમિયાન સામેલ કરવામાં આવ્યા હતા અને ડો. બી.આર. આંબેડકરે દ્વારા તૈયાર કરાયેલા બંધારણનો ક્યારેય ભાગ નહોતા.
બંધારણની ભાવના પર ઈરાદાપૂર્વકનો હુમલો ગણાવ્યો
કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેના પ્રસ્તાવનામાં 'ધર્મનિરપેક્ષ' અને 'સમાજવાદી' શબ્દો રહેવા જોઈએ કે નહીં તે અંગે રાષ્ટ્રીય ચર્ચાના આહ્વાનની ટીકા કરી છે. તેમણે આ રાજકીય તકવાદ અને બંધારણની ભાવના પર ઈરાદાપૂર્વકનો હુમલો ગણાવ્યો છે.
કોંગ્રેસની નીતિઓથી મુક્ત કરીને તેની મૂળ ભાવના પુનઃસ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય
કટોકટી (વર્ષ 1975-77) દરમિયાન બંધારણની પ્રસ્તાવનામાં દાખલ કરાયેલા બે શબ્દોની સમીક્ષા માટે દત્તાત્રેય હોસબોલેના મજબૂત હિમાયતથી રાજકીય વિવાદ સર્જાયો છે, શુક્રવારે(27મી જૂન) આરએસએસ સાથે જોડાયેલી મેગેઝિનમાં પ્રકાશિત થયેલા એક લેખમાં લખ્યું હતું કે, બંધારણને રદ કરવા વિશે નથી, પરંતુ કટોકટી દરમિયાન કોંગ્રેસની નીતિઓથી મુક્ત કરીને તેની મૂળ ભાવના પુનઃસ્થાપિત કરવા વિશે છે.