
કોરોના વાઇરસે વર્ષ 2019માં આખી દુનિયા પર અજગર ભરડો જમાવી દીધો હતો. તેનો પ્રભાવ ઘટતા ઘટતા વર્ષ 2023 આવી ગયું હતું, પરંતુ હવે બે વર્ષની શાંતિ બાદ કોરોના વાઇરસ ફરીથી ત્રાટક્યો છે. કેરળ, મુંબઈ સહિત ગુજરાતમાં પણ ધીમેથી દેખા દીધા પછી કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. ફક્ત કોરોના જ નહીં, તમામ પ્રકારના વાઇરસ જીવંત ન હોવા છતાં જીવંત હોય એવા જીવોનો ભોગ લેવામાં ઉસ્તાદ હોય છે. તે પરિવર્તન પામે છે, યજમાન બદલે છે અને કોષોમાં વૃદ્ધિ પામતા રહે છે. ખતરનાક વાઇરસ કઈ રીતે સમયાંતરે પુનરાગમન કરે છે, એના કારણો સમજીએ.
વાઇરસ મરે છે ખરા?
વાઇરસ જીવંત પ્રાણી નથી. તે મનુષ્યો, પ્રાણીઓ અથવા વનસ્પતિના કોષોની અંદર રહીને તેમની સંખ્યા વધારે છે. યજમાન ન મળે ત્યારે વાઇરસ નિષ્ક્રિય થઈ જાય છે. યજમાન મળતા જ તેઓ સક્રિય થઈને સંખ્યા વધારવા લાગે છે અને છેવટે યજમાનના શરીર પર હુમલો કરી દે છે. ખુલ્લા વાતાવરણમાં વાઇરસ લાંબો સમય ટકી શકતા નથી, મરી જાય છે. અલબત્ત, એક વાઇરસને પણ જો યજમાન શરીર મળી જાય તો એ એકમાંથી સેંકડો થતાં વાર નથી લાગતી.
વાઇરસ મ્યુટેશન દ્વારા રૂપ બદલે છે
વાઇરસ બહુરૂપીની જેમ પોતાનું રૂપ બદલતા હોય છે. મ્યુટેશન દ્વારા તે નવું સ્વરૂપ ધરે છે. નવા વેરિયન્ટ પર જૂની દવાની અસર થતી નથી અથવા ઓછી થાય છે. ઉદાહરણ તરીકે, જૂના કોરાના વાઇરસે મ્યુટેશન દ્વારા NB.1.8.1, JN.1 અને LF.7 જેવા નવા રૂપ ધારણ કર્યા છે. ભારતમાં હાલ જેટલા પણ કોરોના કેસ જોવા મળી રહ્યા છે એમાંના 53 % કેસોમાં JN.1 વાઇરસ જોવા મળ્યો છે.
કોરોનાનું પુનરાગમન કેમ થયું?
છેલ્લાં કેટલાક સમયથી, ભારત, સિંગાપોર અને હોંગકોંગ જેવા દેશોમાં કોવિડ-19 ના કેસ ફરી વધી રહ્યા છે. એની પાછળના વૈજ્ઞાનિક કારણો જોઈએ.
1) રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવો
રસીનો ફાયદો વ્યક્તિ-વ્યક્તિએ અલગ-અલગ થાય છે. અગાઉના ચેપ સમયે લીધેલી રસીથી મેળવેલી રોગપ્રતિકારક શક્તિ સમય જતાં નબળી પડી શકે છે. ખાસ કરીને ઉંમરલાયક વડીલો સાથે આવું થવાની શક્યતા વધુ હોય છે. બુસ્ટર ડોઝ ન લેતા હોય, તો પણ વાઇરસ સામે લડવાની શક્તિ ઘટે છે. સિંગાપોરમાં એવું જ થયું છે. ઓછા બુસ્ટર ડોઝને કારણે કેસ વધી રહ્યા છે.