સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આજે ભયજનક ઘટના બની છે, જ્યાં પ્રભુ મદ્રાસી દેવીપુજક સમાજના પરેશ વાઘેલાની હત્યા થતા વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે. ઘટના દિનદયાલ નગર નજીક ઘટી હતી, જેને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. હત્યાની જાણ થતા પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી. પરેશ વાઘેલાની હત્યા પાછળનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ વ્યક્તિગત દુશ્મનાવી અથવા જૂની અદાવત કારણભૂત હોવાનું અનુમાન છે. ઘટના બાદ લોકોમાં તીવ્ર અસંતોષ જોવા મળ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી.
કોમ્બિંગ અને કડક કાર્યવાહી
વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા તાકીદે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરાયું હતું. સુરત ક્રાઈમ બ્રાન્ચ તેમજ કાપોદ્રા પોલીસ સ્ટાફે સંયુક્ત રીતે રાત દરમિયાન એક્શન પ્લાન અમલમાં મૂક્યો હતો. ક્રિષ્નાનગર વસાહત, દિનદયાલ નગર વસાહત અને રામનગર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વિશિષ્ટ પોલીસ દળ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ તત્વોની ઓળખ કરી તપાસ માટે પૂછપરછ કરવામાં આવી રહી છે.
અસામાજિક તત્વોને કાબુમાં રાખવા પ્રયાસ
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ અસામાજિક તત્વો કે જો શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તેમના સામે કાયદેસરની અને સખત કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની કામગીરીને લઈને સ્થાનિક રહેવાસીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને કાયદો વ્યવસ્થાની પુનઃસ્થાપન માટે સહકાર આપવાની વાત કરી છે. હત્યા કેસમાં હાલ વધુ વિગત સામે આવવાની બાકી છે. પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનો લઈ આરોપીની શોધ શરૂ કરી છે. નિકટના સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે અશ્વાસન આપ્યું છે કે હત્યા પાછળ રહેલા દોષિતોને ઝડપથી પકડવામાં આવશે.