
ફેન્સ રણબીર કપૂરની 'રામાયણ' (Ramayana) ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. યશ ફિલ્મમાં રાવણના પાત્રમાં જોવા મળશે. 3 જુલાઈના રોજ, મેકર્સે ફર્સ્ટ લૂક ટીઝર શેર કર્યું હતું. જેમાં રામ અને રાવણની ઝલક બતાવવામાં આવી છે. ફિલ્મમાં બાકીના મહત્ત્વપૂર્ણ પાત્રો એટલે કે રાજા દશરથથી લઈને હનુમાનજી સુધી કોણ ભજવશે તે જાણીએ.
બે ભાગમાં રિલીઝ થશે ફિલ્મ
'રામાયણ' (Ramayana) બે ભાગમાં રિલીઝ થવાની છે. તેનો પહેલો ભાગ 2026માં દિવાળી પર આવશે અને બીજો ભાગ 2027માં દિવાળી પર રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ થવામાં હજુ એક વર્ષથી વધુ સમય બાકી છે પરંતુ તેના વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.
આ છે ફિલ્મની સ્ટારકાસ્ટ
મીડિયા રિપોર્ટ મુજબ, રણબીર કપૂર 'ભગવાન રામ' ના પાત્રમાં અને યશ 'રાવણ' ના પાત્રમાં જોવા મળશે. આ સિવાય સાઈ પલ્લવી 'સીતા માતા' ના રોલમાં જોવા મળશે. જયારે સની દેઓલ 'હનુમાનજી', રવિ દુબે 'લક્ષ્મણજી', અરુણ ગોવિલ 'રાજા દશરથ', ઈન્દિરા કૃષ્ણન 'રાની કૌશલ્યા', લારા દત્તા 'કૈકેયી', અનિલ કપૂર 'જનક રાજા', અમિતાભ બચ્ચન 'જટાયુ', આદિનાથ કોઠારે 'ભરત', શીબા ચઢ્ઢા 'મંથરા', બોબી દેઓલ 'કુંભકરણ', વિજય સેતુપતિ 'વિભીષણ', વિક્રાંત મેસી 'મેઘનાથ', રકુલ પ્રીત 'શૂર્પણખા', કાજલ અગ્રવાલ 'મંદોદરી', મોહિત રૈના 'ભગવાન શિવ', કુણાલ કપૂર 'ભગવાન ઈન્દ્ર' અને શૂર્પણખાના પતિ 'વિદ્યુતજીવ' નું પાત્ર વિવેક ઓબેરોય ભજવશે. જોકે, મેકર્સે હજુ સુધી આખી સ્ટાર કાસ્ટ વિશે સત્તાવાર માહિતી નથી આપી.
રણબીર અને યશની પહેલી ઝલક
ફિલ્મના આ 3 મિનિટ 3 સેકન્ડના ટીઝરમાં જોરદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવવામાં આવી છે. આ ટીઝરની શરૂઆતમાં હિન્દુ દેવી-દેવતાઓનો પરિચય કરાવવામાં આવ્યો છે. જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે.
ટીઝરના અંતે, ભગવાન રામ તરીકે રણબીર કપૂર અને રાવણ તરીકે યશની ઝલક પણ બતાવવામાં આવી છે. ફેન્સ બંનેની ભૂમિકાઓ પસંદ કરી રહ્યા છે. અગાઉ પણ ભગવાન રામની ભૂમિકામાં રણબીર કપૂર અને માતા સીતાની ભૂમિકા ભજવતા સાઈ પલ્લવીનો ફોટો વાયરલ થયો હતો, જેના પછી ફેન્સ તેના પહેલા ટીઝરની રાહ જોઈ રહ્યા હતા.