
સુરત જિલ્લામાં ચાલુ ચોમાસાની શરૂઆતથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત 21 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે અત્યાર સુધીમાં જિલ્લામાં અંદાજે 60 ટકાથી વધુ વરસાદ થઈ ચુક્યો છે. આ વરસાદની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે, ખાસ કરીને આકાશી ખેતી કરનારા અને ડાંગરની વાવણી કરનારા ખેડુતો માટે પરિસ્થિતિ કપરાં બની છે.
વાવણી અટકી
ખેડૂત આગેવાન જયેશ દેલાડ દ્વારા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે ડાંગરની રોપણી માટે નાખેલા ધરુ સતત વરસાદથી નષ્ટ થઇ ગયા છે. જેના કારણે ખેડૂતોને બીજી વખત ધરુ નાખવા મજબૂર બનવું પડ્યું છે, અને વાવણી મોડું થતા ડાંગરના ઉત્પાદન પર પણ સીધો પ્રભાવ પડશે.આ વર્ષે સુરત જિલ્લામાં ચોમાસા દરમ્યાન અંદાજે 1,08,000 હેક્ટરમાં પાકની વાવણી થવી જોઈએ હતી, પરંતુ હાલ માત્ર 8,600 હેક્ટરમાં જ વાવણી થઇ શકી છે – જે ગણતરીએ માત્ર 8 ટકાની વાવણી ગણાય છે. આંકડા સ્પષ્ટ રીતે ખેડૂત પરિવારોની હાલતને દર્શાવે છે.
સર્વે કરવાની માગ
જયેશ દેલાડે માંગ કરી છે કે કૃષિ મંત્રી ખેતીવાડી વિભાગને તાત્કાલિક સર્વે માટે સુચન આપે અને જે ખેડૂતોએ નુકસાન ભોગવ્યું છે તેમને યોગ્ય વળતર આપવા માટે પગલાં લે.આ ઉપરાંત, ગુજરાત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે જે પ્રયાસો કરવામાં આવ્યા છે તે પ્રશંસનીય છે. પાકના લઘુતમ ટેકાના ભાવ, નવી ટેકનોલોજી અને વિવિધ યોજનાઓ દ્વારા સરકાર ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે.સુરતના ખેડૂતો હવે સરકાર તરફ વળતર માટે આશાભરી દૃષ્ટિ રાખી રહ્યાં છે અને માંગ છે કે તાત્કાલિક પગલાં ભરીને આર્થિક મદદ રૂપ થાય.