ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર સાથે ચોમાસાનું આગમન થયું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી સુરેન્દ્રનગરના નાયકા ડેમ અને ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે. નાયકા ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. ભોગાવો નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ એલર્ટ જાહેર કર્યુ છે. ભોગાવો નદીમાંથી પાણી છોડાતા ખમીયાણા, ભળીયાદ, મેમકા, કેરાળા, રતનપર, સાંકળી, વઢવાણ, સિયાણી, નટવરગઢ, દોલતપર ગામને એલર્ટ કરવામાં આવ્યા. સાર્વત્રિક વરસાદને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક છે. નદીઓ ઉપરાંત તળાવો પણ ઓવરફ્લો થયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સ્થિત જલારામ મંદિર સામે આવેલા તળાવમાં રાત્રે ભારે વરસાદના કારણે વૃદ્ધ કાળુભાઈ સુરજભાઈ સારલા ફસાઈ ગયા હતા. કાળુભાઈ સારલા ગત સાંજે તળાવની વચ્ચે આવેલી મંદિરની ડેરીમાં દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન પાણીની આવક વધતાં તેઓ ફસાઈ ગયા હતા. રાતભર તેઓ તળાવની વચ્ચે આવેલી દેરીમાં વરસાદી પાણી વચ્ચે હતા.
વહેલી સવારે હાઇવે પરથી પસાર થતા ચોટીલાના જાગૃત નાગરિકે તેમને જોતાં જ નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. નગરપાલિકાના કર્મચારી જુવાનસિંહ ઝાલાની સૂચના પર ફાયર ફાઇટરની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું. ટીમના તરવૈયાઓએ સફળતાપૂર્વક વૃદ્ધને બચાવી લીધા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી.