
Ahmedabad news: અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસનો રાફડો ફાટી ચુક્યો છે. છેલ્લા એક મહિના કરતાં પણ ઓછા સમયમાં કોરોનાના વધતા કેસોએ કોરોનાકાળની યાદ અપાવી દીધી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા કુલ 131 કેસ નોંધાયા છે. જ્યારે નવ દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં સૌથી વધુ એક્ટિવ કેસ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 204 કેસ છે. કોરોનાના એક્ટિવ કેસનો આંક 646 જેટલો થયો છે. સાબરકાંઠા જિલ્લાની સગર્ભા મહિલાનું આજે સોલા સિવિલમાં કોરોનાની સારવાર લેતા મોત થયું હતું.
મળતી વિગતો અનુસાર, કોરોના વાયરસે છેલ્લા ત્રણ વર્ષ બાદ દેખા દીધા બાદ સતત કોરોનાના કેસોનો રાફડો ફાટયો છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો કેર યથાવત્ છે. અમદાવાદમાં ગત છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 131 કેસ નોંધાયા છે. જેમાં એક મહિલા દર્દીનું કોરોનાથી મોત થયું હતું. આજે એસ.જી.હાઈવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત સાબરકાંઠાની સગર્ભા મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જો કે, કોરોના રસીકરણ બાદ છેલ્લા 3 વર્ષ કરતાં વધુ સમય સુધી કોરોનાના એકપણ કેસ ન આવ્યા પરંતુ છેલ્લા એક મહિના કરતાં ઓછા સમયમાં કોરોનાના સતત કેસો વધી રહ્યા છે. તાજેતરમાં કેસો વધતા કોરોનાથી આ પહેલું મોત સોલા સિવિલમાં નોંધાયું હતું.
સોલા સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠાની સગર્ભા મહિલાનું મોત
હાલ અમદાવાદમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 646 પર પહોંચ્યો છે. જેમાં કોરોનાનો સૌથી વધુ ચેપ પશ્ચિમ ઝોનમાં જોવા મળી રહ્યો છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 204, પશ્ચિમ ઝોનમાં 211 એક્ટિવ કેસ સામે આવ્યા છે. છેલ્લા એક મહિના કરતાં ઓછા સમયથી કોરોનાના કેસો આવી રહ્યા છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓને ખાંસી, શરદી અને તાવના લક્ષણો જોવા મળી રહ્યા છે. જેથી એએમસી તંત્ર અને આરોગ્ય વિભાગે નાગરિકોને સાવધાની રાખવા અપીલ કરી છે.