
Indian Medical Association Gujarat: 12 જૂને અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મેડિકલના વિદ્યાર્થીઓને થયેલી ગંભીર ઇજાઓ અને મોતના પગલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) - ગુજરાત રાજ્ય શાખા દ્વારા ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખી સહાય માટે વિનંતી કરવામાં આવી છે. IMA ગુજરાત શાખાએ એર ઇન્ડિયા દ્વારા મૃત્યુ પામેલા મુસાફરોના પરિવારોને જાહેર કરાયેલા ₹1 કરોડના વળતર અને BJ મેડિકલ કોલેજ હોસ્ટેલના નવીનીકરણ માટે આપવામાં આવેલી સહાય માટે આભાર વ્યક્ત કર્યો હતો.
IMA એ પત્ર લખી જણાવ્યું હતું કે, 'અમે વિનંતી કરીએ છીએ કે આ વિમાન દુર્ઘટના વખતે હોસ્ટેલમાં હાજર મેડિકલના વિદ્યાર્થીઓ જે ઇજાગ્રસ્ત થયા છે અથવા જેમણે જીવ ગુમાવ્યો છે. તેમના પરિવારજનોને પણ નાણાકીય સહાય અને જરૂરી મદદ પૂરી પાડવામાં આવે. આ વિદ્યાર્થીઓ માત્ર દુર્ઘટનાનો ભોગ બન્યા નથી, પરંતુ તેઓ આપણા ભવિષ્યની હેલ્થકેર સિસ્ટમનો પાયો હતા. તેમના પરિવારોજનોને તાત્કાલિક ધોરણે પણ સહાય જાહેર કરવામાં આવે.'
ટાટા ગ્રૂપે કૉલેજ હોસ્ટેલના પુનઃનિર્માણ માટે પણ મદદ કરશે
ટાટા ગ્રૂપે જાહેરાત કરી છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ટાટા ગ્રૂપ ઈજાગ્રસ્ત મુસાફરોની સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાવશે અને તેમને દરેક જરૂરી તબીબી સુવિધા પૂરી પાડશે. ટાટા ગ્રૂપ અમદાવાદમાં બીજે મેડિકલ કૉલેજના હોસ્ટેલના પુનઃનિર્માણ માટે પણ મદદ કરશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે મજબૂત રીતે ઊભી છે.
ટાટા ગ્રૂપ દરેક મૃતકના પરિવારને રૂ.1 કરોડ, ઇજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે
12 જૂને (ગુરુવાર) બપોરે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ ઍરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ટેક ઑફ થયાના થોડીવાર પછી ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં બે પાયલોટ સહિત 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોના મોત નીપજ્યા છે. ટાટા ગ્રૂપે જાહેરાત કરી છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે એર ઇન્ડિયા ટાટા ગ્રૂપની માલિકીની છે.