
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ આજે 148મી રથયાત્રા રૂપે નગરચર્યાએ નીકળશે. આ રથયાત્રા સમગ્ર દેશની સૌથી લાંબા રૂટની રથયાત્રા છે અને તે વિના વિધ્ને પસાર થાય તે માટે અમદાવાદ પોલીસે અત્યાર સુધીનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં પોલીસ, રેપીડ એક્શન ફોર્સ તેમજ અન્ય પેરામીલેટરી ફોર્સની સાથે કુલ 24 હજાર જેટલા સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે.
પોલીસે સૌ પ્રથમવાર AI ટેકનોલોજીથી સજ્જ ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ભીડ પર નજર રાખવાની સાથે ફાયર એલર્ટ પણ આપશે. આ ઉપરાંત, પાંચ હજારથી વધારે બોડીવોર્ન કેમેરા, ડ્રોન, જીપીએસના સાધનોની મદદ પણ લેવામાં આવશે. પરિવાર બાળકો સાથે દર્શન કરવા આવે ત્યારે ભીડ માં ગુમ થયેલા બાળકો માટે પણ 17 જન સહાય કેન્દ્ર મદદરૂપ થશે
23,884 પોલીસકર્મી રથયાત્રા રૂટ પર તૈનાત
9 IG - DIG,
38 SP -DCP,
4 ASP ,
88 DYSP ,
298 PI ,
558 PSI,
3 ચેતક કમાન્ડો ,
10 BDDS ટીમ
19 SRP કંપની
20 ડોગ સ્કોર્ડ ટીમ
9 RAF કંપની
4 મોબાઈલ એન્ડ કમાન્ડ એન્ડ કંટ્રોલ વ્હીકલ
6500 હોમગાર્ડ જવાન
1100 સિવિલ ડિફેન્સ
ગુરૂવારે બપોરથી જ પોલીસ અને સુરક્ષા કર્મીઓને બંદોબસ્ત સોંપી દેવામાં આવ્યો છે જે શુક્રવારે રાત્રે ત્રણેય રથ નીજમંદિરે પરત ફરે ત્યાં સુધી યથાવત રહેશે. 16 કિલોમીટર લાંબી રથયાત્રામાં રથ, અખાડા, ભજન મંડળી અને ટ્રક તેના નિયત સમય સાથે રૂટ પર ચાલે તે માટે ક્રાઇમબ્રાંચે 4500 જેટલા પોલીસ કર્મીઓનો મુવીંગ બદોબસ્ત ગોઠવ્યો છે.
આ ઉપરાંત, રથયાત્રાને કારણે તેના રૂટની આસપાસ ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક વિભાગના એક હજાર કર્મચારીઓ 23 જેટલી ક્રેન અને અન્ય સાધનો સાથે તૈનાત રહેશે.
આ ઉપરાંત, 3200 જેટલા સીસીટીવી કેમેરા, 75 ડ્રોનથી લાઇવ ફીડ મેળવીને પોલીસ કંટ્રોલ રૂમ પર નજર રખાશે. પોલીસે ટેરેસ બંદોબસ્ત માટે 240 ધાબા પોઇન્ટ, 25 વોચ ટાવરની વ્યવસ્થા કરી છે. યાત્રા દરમિયાન કોઇને મુશ્કેલી ન પડે તે માટે 17 જન સહાયતા કેન્દ્ર, 44 પબ્લીક એડ્રેસ સિસ્ટમ પણ સક્રિય કરવામાં આવી છે.