
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એ.એમ.સી દ્વારા આગામી સત્રથી સાત ઝોનમાં માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. હાલમાં શહેરમાં એ.એમ.સી સંચાલિત ધોરણ 1 થી 8ની 400થી વધુ સ્કૂલો ચાલે છે. આગામી સમયમાં ધોરણ 9 અને 10ની માધ્યમિક શાળાઓ શરૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી હવે બાલમંદિર માંડીને ધોરણ 10 સુધી મફત શિક્ષણ મળશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં સાત ઝોનમાં સાત શાળાઓ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર અન્ય વિસ્તારોમાં પણ શાળાઓ શરૂ કરાશે. સ્કૂલ બોર્ડ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી 1.70 લાખ વિદ્યાર્થીને ફાયદો થશે.
કોર્પોરેશનના આ નિર્ણયથી આર્થિક રીતે નબળા વાલીઓને મોટી રાહત થશે. ખાનગી શાળામાં તગડી ફી ભરી ભરીને વાલીઓની કમર ભાગી જતી હતી. કોર્પોરેશના આ નિર્ણયથી વાલીઓનો શિક્ષણનો આર્થિક બોજો ઘટી જશે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામૂલ્યે મળી રહેશે.