
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયુ છે. આજે અષાઢી બીજના દિવસે ભગવાનની 148મી રથયાત્રા રંગેચંગે નિકળશે.આજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે નગરચર્યાએ નીકળે છે. અમદાવાદની રથયાત્રા લાખો ભક્તો માટે શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનો મહાપર્વ છે.
પુરી પછી અમદાવાદની રથયાત્રાનું મહત્વ અને ભવ્યતા બીજા સ્થાને
પુરી પછી અમદાવાદની રથયાત્રાનું મહત્વ અને ભવ્યતા બીજા સ્થાને આવે છે, જે તેને ભારતની સૌથી મોટી અને મહત્વપૂર્ણ રથયાત્રાઓમાંની એક બનાવે છે. સૌ પ્રથમ વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનને ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ કરવામાં આવે છે, જેમાં સોનાની ઝાડુથી રથનો માર્ગ સાફ કરવામાં આવે છે. આ વિધિ દર્શાવે છે કે ભગવાનનો દરજ્જો ઉંચો છે.અને તેઓ સ્વયં રાજા છે.જેથી પ્રદેશના રાજા પોતે સેવક બનીને ભગવાનના માર્ગને સ્વચ્છ કરે છે.
અમદાવાદની રથયાત્રા 16 કિમી લાંબો રૂટ કાપે છે
અમદાવાદની રથયાત્રા જગન્નાથ મંદિર, જમાલપુરથી શરૂ થઈને શહેરમાં 16 કિલોમીટરનો લાંબો માર્ગ કાપે છે. આ યાત્રામાં ત્રણ મુખ્ય રથ હોય છે: સૌથી આગળ ભગવાન બલરામજીનો રથ, ત્યારબાદ બહેન સુભદ્રાજીનો રથ અને છેલ્લે ભગવાન જગન્નાથજીનો રથ ચાલે છે. અમદાવાદના આંગણે આજે મોટો અવસર છે.
આખુ વર્ષભર ભક્તો દૂર દૂરથી ભગવાનની એક ઝલક જોવા માટે મંદિર આવે છે.પરંતુ આજનો અષાઢી બીજનું પર્વ એવુ છે જ્યારે શ્રદ્ધાળુઓને મંદિર જવાની જરૂર નથી.ભગવાન પોતે સામે ચાલીને ભક્તોને દર્શન દેવા આવે છે.ભગવાન પોતાના ભક્તો અને નગરજનોના હાલચાલ જાણવા જ નગરચર્યાએ નીકળ્યા છે.
રથયાત્રામાં દેશભરમાંથી આવે છે 2500થી વધુ સાધુ સંતો
આ યાત્રામાં લાખો ભક્તો ઉમટી પડે છે, જેઓ જય જગન્નાથના નારા લગાવતા અને ભજન કીર્તન કરતા ચાલે છે.રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક જોડાય છે.30 અખાડાના દિલધડક કરતબ અને 100થી વધુ કરતબ બાજના અંગ કસરતના પ્રયોગો આકર્ષણ જન્માવે છે. 18 ભજન મંડળીઓની રમઝટ સાથે 3 બેન્ડવાજા શ્રદ્ધાળુઓને ભક્તિરસથી તરબોળ કરે છે.અમદાવાદની રથયાત્રામાં દેશભરમાંથી આવેલા 2500થી વધુ સાધુ સંતો હાજરી આપે છે. 1000 થી 1200 ખલાસીઓ રથને ખેંચે છે.