દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. કેજરીવાલે પત્રકાર પરિષદ કરીને ભાજપ પર પ્રહાર કર્યા હતા.કેજરીવાલે કહ્યું કે,ભાજપના ભ્રષ્ટાચારને કારણે ગુજરાતમાં કોઇ તબક્કો ખુશ નથી. કેજરીવાલે કહ્યું કે, ગુજરાતના લોકો હવે પરિવર્તન ઇચ્છે છે અને આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે જોઇ રહ્યાં છે.
ભાજપે ગુજરાતને બરબાદ કરવામાં કોઇ કસર છોડી નથી- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "વિસાવદરની વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને ત્યાની જનતાએ જબરજસ્ત બહુમત આપ્યો છે. 2022માં આમ આદમી પાર્ટીએ આ સીટ જીતી હતી. 2022માં વિનિંગ માર્જિન મળ્યું હતું તેના કરતા ત્રણ ઘણા મત આ વખતે AAPને મળ્યા છે. વિસાવદરની આ જીત કોઇ આઇસોલેટેડ જીત નથી, આ 2027 પહેલાની સેમિ ફાઇનલ છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. 30 વર્ષમાં ભાજપે ગુજરાતને બરબાદ કરવામાં કોઇ કસર છોડી નથી. "
ગુજરાતમાં રોજ પેપર લીક થઇ રહ્યાં છે- ખેડૂતોની સ્થિતિ પણ ખરાબ- કેજરીવાલ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ સુરતમાં પુરની સ્થિતિને લઇને પણ ભાજપ પર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે, સુરતમાં જે રીતે પુરની સ્થિતિ છે, લોકોએ કરોડોના ઘર લઇ લીધા છે તેમના ડ્રોઇંગ અને બેડરૂમમાં પણ પાણી ઘુસી ગયું છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ છે. 2 વર્ષ પહેલા વડોદરા અને જૂનાગઢમાં પણ આવી જ સ્થિતિ હતી અને શહેરોમાં પુર આવ્યું હતું. બિલ્ડરો સાથે મળીને ભાજપે ભ્રષ્ટાચાર કરી પાણીનો રસ્તો રોકી નાખ્યો છે. ગુજરાતમાં રસ્તાની સ્થિતિ ખરાબ છે, ખેડૂતોની સ્થિતિ પણ ખરાબ છે બીજ અને વીજળી પણ મળતી નથી. યુવાઓની સ્થિતિ પણ ખરાબ છે અને રોજ પેપર લીક થઇ રહ્યાં છે. સરકારમાં અડધાથી વધુ જગ્યાઓ ખાલી પડી છે, જે ભરતીઓ થઇ રહી છે તે કોન્ટ્રાક્ટ બેજ છે. કોઇ એવો તબક્કો નથી જે ખુશ હોય.
ભાજપને ચૂંટણી જીતાડવાનો ઠેકો કોંગ્રેસ પાસે- કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં વારંવાર ભાજપ ચૂંટણી જીતતી આવે છે અને તેનું માત્ર એક જ કારણ છે કે ગુજરાતના લોકો પાસે વિકલ્પ નહતો. ગુજરાતની જનતા કહે છે કે, અમે ભાજપને હરાવવા માંગીએ છીએ પણ મત કોને આપીયે. કોંગ્રેસ તેમના ખિસ્સામાં છે. કોંગ્રેસને એક રીતે ભાજપને જીતાડવાનો ઠેકો આપવામાં આવ્યો છે. કોંગ્રેસ ઉપર હવે લોકોને વિશ્વાસ નથી. હવે આમ આદમી પાર્ટીને લોકો વિકલ્પ તરીકે જોવા લાગ્યા છે.
કેજરીવાલે વધુમાં કહ્યું કે, વિસાવદરમાં જે રીતે લોકોએ મત આપ્યો, આ ગુસ્સાનો માહોલ આખા ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે. પહેલા 30 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું અને પછી 30 વર્ષ ભાજપે રાજ કર્યું. સમયનું ચક્ર ફરી ગયું છે. હવે ભાજપના જવાનો સમય આવી ગયો છે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. વિધાનસભાની ચૂંટણીમાં અઢી વર્ષનો સમય બાકી છે અને આમ આદમી પાર્ટી આ અઢી વર્ષમાં ઘરે ઘરે જઇને પ્રચાર કરશે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે.