
ઉત્તર ગુજરાતના જાણીતા અંબાજી શક્તિપીઠમાં આજે ચૈત્રી નવરાત્રિના બીજા નોરતે સવારે બે મંગળા આરતી શરૂ કરવામાં આવી છે. બીજા નોરતાથી આઠમ સુધી રોજ સવારે બે મંગળા આરતી થાય છે. પ્રથમ આરતી ગર્ભગૃહમાં અંદર જ્યારે બીજી આરતી ઘટસ્થાપના પાસે થાય છે.
આજે પણ સતત બીજા દિવસે અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. સિદ્ધિવિનાયકની આરતી કર્યા બાદ માતાજીની આરતી શરૂ થાય છે. ગુજરાતનું પ્રથમ એવું શક્તિપીઠ જ્યાં નવરાત્રિ પર્વમાં આઠમ સુધી બે આરતી થાય છે. ચૈત્રી નવરાત્રિ પર્વને લીધે અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારાયું હતું. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં જોડાયા હતા.
જેમ વર્ષમાં ચાર નવરાત્રિ આવતી હોય છે. તેમાં આસો માસની શારદીય અને ચૈત્રની વસંતીય નવરાત્રિનું વિશેષ મહત્વ છે. જેમ આસો મહિનાની નવરાત્રિમાં નવ દિવસ ગરબાની ધૂમ જોવા મળતી હોય છે. તે જ રીતે ચૈત્રી નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં આ ચૈત્ર નવરાત્રિના નવ દિવસ 24 કલાકમાં અંબેની અખંડ ધૂનની રમઝટ જોવા મળે છે. મૂળ મહેસાણા જિલ્લાના ખેડૂત પરિવારો દ્વારા આ અખંડ ધૂનની સ્થાપના ભારતદેશની આઝાદી પૂર્વે વર્ષ-1941માં કરવામાં આવી હતી. જયારે પ્રજા ઉપર આવી પડેલી આપતીને દૂર કરવા શરુ કરાયેલી અખંડ ધૂન મહેસાણા જિલ્લાના 150 ઉપરાંત શ્રદ્ધાળુઓ દ્વારા 83 વર્ષથી આ પરંપરાને જાળવી રાખવામાં આવી છે. આ અખંડ ધૂનમાં 6 ટીમ બનાવી 2 કલાકના અંતરે આ ટુકડીઓ બદલાતી હોય છે. અને રાઉન્ડ ધ કલાક આ અખંડધૂન અવિરત પણે કરવામાં આવે છે.
જોકે આ અખંડ ધૂન મૂળ પરંપરાના નિયમો અનુસાર કરવામાં આવે છે. પુરુષો દ્વારા કરતી આ અખંડ ધૂનમાં મહિલાઓને પ્રવેશ અપાતો નથી. જો મહિલાઓને અખંડ ધૂન કરવી હોય તો તેઓ બહારની બાજુ અલગ બેસીને કરી શકે છે. ચૈત્રી નવરાત્રિના નવ દિવસ આ ધૂન મંડળના સંચાલકો તેમજ મંડળમાં આવતા લોકો તેલથી બનાવેલું ભોજન જમતા નથી અને માત્ર ઘીના ઉપયોગથી બનાવેલી રસોઈ જ બનાવી ને ભોજન આરોગે છે. મહિલાઓને આ અખંડ ધૂન દરમિયાન પ્રવેશ ન અપાતા હોવાનું કોઈ જ રંજ નથી. તેઓ બહાર અલગ બેસીને માતાજીની ધૂન કરતા હોય છે.