
Accident news: રાજ્યમાં માર્ગ અકસ્માતોનો સીલસીલો યથાવત્ છે. સતત માર્ગ અકસ્માતોની ઘટનાને લીધે જાનહાનિના બનાવો પણ વધ્યા છે. જેથી તંત્રને માર્ગ અકસ્માત માથાનો દુખાવો સાબિત
થયો છે. આજે તા. 22મે ગુરુવારે દાહોદ અને ધોળકામાં બે અકસ્માતમાં કુલ ચાર લોકોનાં મોત થયા હતા, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. દાહોદ જિલ્લાના ફતેપુરાના હિંગલામાં ડીજેનો ટેમ્પો પલટી જતા બે લોકો મોતને ભેટયા હતા, જ્યારે ધોળકામાં ગ્રામ્ય વિસ્તારમાં ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોનાં કરુણ મોત થયા હતા.
મળતી વિગતો અનુસાર, આજે સવારે રાજ્યમાં માર્ગ અકસ્માતની બે ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં કુલ ચાર લોકો મોતને ભેટયા હતા. જ્યારે ત્રણ લોકોને ઈજા થઈ હતી. દાહોદ જિલ્લામાં આવેલા ફતેપુરના હિંગલામાં લગ્નમાં ભાડેથી વગાડવામાં આવતા ડીજેનો ટેમ્પો રોડ પરથી પલટી જઈને ઊંધો વળ્યો હતો. સુખસરના બચકરિયા ગામમાંથી લગ્નમાંથી જાન પરત ફરતા લગ્નનો ડીજેનો ટેમ્પો પલટી ગયો હતો. આ ટેમ્પોમાં સવાર બે યુવકોના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતકોને સુખસર સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટ કરી મૃતદેહો પરિવારને સોંપાયા હતા. લગ્ન બાદ અકસ્માત થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બીજા એક અકસ્માતમાં અમદાવાદ જિલ્લામાં આવેલા ધોળકા ગ્રામ્યમાં એક ખાનગી કંપની આગળ ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ટ્રકે બે લોકોને કચડી દેતા પરપ્રાંતીય મજૂર એવા બે લોકોનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. અકસ્માત બાદ લોકોનાં ટોળાં એકઠાં થયા હતા. જે બાદ પોલીસ અને 108ની ટીમે આવી મૃતદેહોને સરકારી હોસ્પિટલ ખસેડયા હતા. અને ધોળા પોલીસે હાઈવે પર ટ્રાફિકને હળવો કર્યો હતો. અમદાવાદ ગ્રામ્યમાં દિનપ્રતિદિન અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે.