
પહેલગામ હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ થઇ છે. રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને સરેન્ડર કરવા માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે. અમદાવાદ અને સુરત પોલીસે એક જ રાતમાં 1000થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે.
અમદાવાદ-સુરતમાંથી 1000થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત
ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત એક જ રાતમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાઓ, રેન્જ વડા અને લો એન્ડ ઓર્ડર તેમજ આઇ.બીના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને આ અભિયાનને વધુ સઘન બનાવવા અને બાંગ્લાદેશીઓની તમામ ગતિવિધિઓ અંગે બારીક તપાસ કરીને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા.
બાંગ્લાદેશીઓને પરત મોકલાશે- DGP
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, બનાવટી દસ્તાવેજો બનાવનારા બંગાળના ગુનાહિત નેટવર્કની તપાસ ચાલુ છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેમના મૂળ દેશ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશએ. આ અભિયાન રાજ્યમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અને ગુનાહિત પ્રવૃતિઓ પર અંકુશ લાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે અને ગુજરાત પોલીસ આગામી દિવસોમાં આવી કામગીરીને વધુ તીવ્ર બનાવશે.
બે દિવસમાં સ્વૈચ્છિક રીતે સરેન્ડર થઇ જાવો- હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા ચેતવણી આપી છે . જો સરેન્ડર નહીં થાય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ ગેરકાયદેસર ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.