
અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિશ્વભરના લોકોને તેમના વતન ડિપોર્ટ કરવામાં આવી રહ્યાં છે. 205 ભારતીય ઘુસણખોરોને લઇને એક મીલીટરી વિમાન ટેક્સાસથી ભારત આવવા રવાના થયું છે. આ વિમાનમાં 33 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આ વિમાનમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતી ઘુસણખોરોના કેટલાક નામ પણ સામે આવ્યા છે. આ ગુજરાતીઓમાં 9 ગુજરાતી એક જ જિલ્લા ગાંધીનગરના હોવાનું જાણવા મળે છે.
33 ગુજરાતી સહિત 205 ભારતીયો આજે વતન પરત ફરશે
205 ભારતીયોમાં 33 તો ગુજરાતના છે જેઓ અમેરિકાથી પાછા આવી રહ્યા છે. આજે બપોરે આ લોકો અમૃતસર આવી પહોંચશે. અમેરિકાથી પાછા મોકલાયેલા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના છે જેમાં મહેસાણા અને ગાંધીનગરમાંથી 12-12 લોકો પરત આવશે. જ્યારે સુરતના 4 અને અમદાવાદના 2 લોકો સામેલ હોવાનું ખુલ્યું છે. જ્યારે વડોદરા, ખેડા અને પાટણની 1-1 વ્યક્તિ આ વિમાનમાં સામેલ છે.
ગાંધીનગર જિલ્લાના જ 9 ગુજરાતીઓનો સમાવેશ
- કેતન દરજી, ખોરજ, ગાંધીનગર
- પ્રેક્ષા પ્રજાપતિ, પ્રજાપતિ વાસ, પેથાપુર, ગાંધીનગર
- બળદેવ ચૌધરી, બાપુપુરા માણસા
- ઋચી ચૌધરી, ઈન્દ્રપુરા, માણસા
- માયરા પટેલ, ગાર્ડન સિટી, કલોલ
- રીશિતા પટેલ, ગાર્ડન સિટી, કલોલ
- કરણસિંહ ગોહીલ, બોરૂ, માણસા
- મિત્તલબેન ગોહીલ, બોરૂ, માણસા
- હેયાન ગોહિલ, બોરૂ, માણસા
રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ અનુસાર પોલીસ, ફેડરલ એજન્સીની મદદથી પકડી પાડવામાં આવેલા ગેરકાયદે વસવાટ કરતા લોકોને ગ્વાતેમાળા, પેરુ, હોન્ડુરસ રવાના કરવામાં આવ્યા છે. અત્યારસુધીના ઓપરેશનમાં સૌથી પહેલી વખત ભારત જેટલા દૂરના દેશોમાં ઘુસણખોરોને પરત મોકલી આપવામાં આવી રહ્યા છે.
અમેરિકા કેવી રીતે પહોંચ્યા ? પંજાબ પોલીસ દરેકની પૂછપરછ કરશે
અમેરિકન મીલીટરી એરક્રાફ્ટ ભારતમાં ક્યાં ઉતરાણ કરશે કે પછી આવી રહેલા નાગરીકો દેશના ક્યા રાજ્યના છે તે અંગે કોઈ માહિતી આપી નથી. પરંતુ, સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગના નાગરીકો પંજાબ અને ઉત્તર ભારતના છે. બીજું, ભારતમાં આગમન પછી દરેકની ચકાસણી, તે દેશના ક્યાં પ્રાંતનો છે તેની પાસે ભારતીય હોવાની ઓળખ છે કે નહીં તે અંગે પંજાબ પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા તપાસ કરવામાં આવશે.
આ ઉપરાંત, તેમની પૂછપરછ કરી તેઓ અમેરિકા કઈ રીતે પહોંચ્યા, એમની ઘુસણખોરી ક્યા માર્ગે અને કોની મદદથી થઇ એ અંગે પણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરશે.