
Revenue Talati 2025 Recruitment : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની 2389 જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને 23 મે, 2025ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીના 26 મેથી ફોર્મ ભરાવવાના શરૂ થયા હતા. જેની અંતિમ તારીખ 10 જૂન હતી. જ્યારે હવે GSSSB મંડળ દ્વારા ફોર્મ ભરવાના બે દિવસ વધારીને છેલ્લી તારીખ 12 જૂન કરવામાં આવી છે, જેમાં રાત્રે 11:59 સુધીમાં ફોર્મ ભરી શકાશે.
રેવન્યુ તલાટીના આવતીકાલ સુધી ફોર્મ ભરી શકાશે
મહેસૂલ વિભાગ હસ્તકની રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીની ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે, ત્યારે ફોર્મ ભરવામાં બાકી અથવા હજુ પણ અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો આવતીકાલ ગુરુવાર (12 જૂન) સુધી અરજી કરી શકશે અને 13 જૂનની રાત્રે 11:59 સુધી પરીક્ષા ફી ભરવાની રહેશે. જેમાં રેવન્યુ તલાટીની ભરતી 2025 માટે ઉમેદવારો Ojasની સત્તાવાર વેબસાઈટની ojas.gujarat.gov.in આ લીંક પરથી અરજી કરી શકશે.
ભરતીની સંપૂર્ણ વિગતો જાણવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની ભરતીની પ્રિલિમિનરી પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ અંગે જાણકારી આપવામાં આવી છે. રેવન્યુ તલાટીની MCQ આધારિત પરીક્ષામાં શું રહેશે સિલેબસ અને કયા વિષયોને ધ્યાને લેવા તેને લઈને સત્તાવાર અભ્યાસક્રમની વિગત આપવામાં આવી છે.
MBA ડીગ્રીધારી યુવાઓએ પણ તલાટી બનવા ફોર્મ ભર્યું
આ વખતે ડબલ ગ્રેજ્યુએટથી માંડીને MBA ડીગ્રીધારી યુવાઓએ પણ તલાટી બનવામાં રસ દાખવ્યો છે. ઉલ્લેખનીય છેકે, પંચાયતોમાં અત્યાર સુધી તલાટીઓ જ વહીવટદાર તરીકે ભૂમિકા નિભાવી હતી. જગ્યાઓ ખાલી હોવાથી એક તલાટીને બે-ત્રણ ગામડાની જવાબદારી સોંપવામાં આવી હતી. પંચાયતોનો વહીવટ બગડતાં આખરે સરકારે તલાટીઓની ભરતી કરવાનું મન બનાવ્યુ છે. તલાટી માટે સાડા ચાર લાખથી વધુ અરજીઓ આવતાં ગુજરાતમાં રોજગારીની કેવી સ્થિતી છે તેની વાસ્તવિકતા ઉજાગર થઇ છે. ગુજરાતમાં યુવાઓને રોજગાર મળી રહે છે તેવા સરકારના દાવાનો પરપોટો ફુટ્યો છે.
પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થતાં તલાટી બનવું પણ અઘરું બન્યું
જાણકારોનું કહેવુ છે કે, તલાટીની પરીક્ષા હવે GPSCની પરીક્ષા સમાન બની રહી છે. હવે પ્રિલિમિનરી પરીક્ષામાં ઉતીર્ણ થયા પછી જ વધુ પરીક્ષા માટે યોગ્ય ઉમેદવાર ગણવામાં આવે છે. આ ઉપરાંત અત્યાર સુધી શૈક્ષણિક લાયકાત ધોરણ 12 હતી. હવે ગ્રેજ્યુએટ યુવા જ તલાટીનું ફોર્મ ભરી શકે છે. ગત વખતે એક પરીક્ષા હતી જ્યારે આ વખતે પ્રિલિમિનરી સાથે કૂલ ચારેક પરીક્ષા આપવી ફરજિયાત છે. આ બધાય પરીક્ષા નિયમોને લીધે કેટલાંય શિક્ષિતોએ તલાટીની પરીક્ષા આપવાનું ટાળ્યુ છે. ગત વખતે તો તલાટી માટે છ લાખથી વધુ ફોર્મ ભરાયા હતાં.