
જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર જોગવડ ગામના પાટીયા નજીક 18મી માર્ચે રસ્તા પર બે ખૂંટિયા બાખડતા જેની અડફેટે એક પ્રાંતિય શ્રમિક આવ્યો હતો. યુવકને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જો કે, સારવાર દરમિયાન તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. જે બાદ શ્રમિકના પરિવાર દ્વારા અંગદાન કરવાની જાહેરાત થઈ હતી.ત્યારબાદ અમદાવાદથી દોડી આવેલી સ્પેશિયલ તબીબોની ટીમે શ્રમિકનું ઓપરેશન કરીને તેના જીવિત અવસ્થામાં રહેલા અંગોને એકત્ર કર્યા હતા અને સ્પેશિયલ કોરિડોર બનાવી ચાર્ટર ફ્લાઈટથી અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના વતની ઉમેશકુમારને જોગવડ ગામના પાટીયા નજીક બે ખૂંટિયાએ અડફેટમાં લેતાં તે ફંગોળાયો હતો. તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં યુવાનને સારવાર દરમિયાન ડોક્ટરોએ બ્રેન્ડેડ જાહેર કર્યો હતો, જો કે, તેના અવયવો ચાલતા હતા. આ દરમિયાન જામનગરની જી.જી. હોસ્પિટલના ડોક્ટરોએ પરિવારજનોને કહ્યું ઉમેશકુમારનું બ્રેઈનડેડ થયું છે, પરંતુ તેના અંગ ચાલુ છે. જે અંગોનું દાન કરવાથી અન્ય વ્યક્તિઓને નવું નવજીવન આપી શકાશે. જેમાં સહમતી દર્શાવતી પ્રસ્તાવ મુકતાં સમગ્ર પરિવારજનોએ સહમતિ દર્શાવી હતી. બ્રેઈનડેડ જાહેર થયેલા ઉમેશકુમારના કિડની, લીવર સહિતના અંગોનું દાન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પરિવારની હાજરીમાં ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા
શુક્રવારે (28મી માર્ચ) મોડી રાત્રે આ નિર્ણય લેવાયા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબી ટીમ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલના સંપર્ક સાધવામાં આવ્યો હતો. અંગેનું દાન કરવા નિર્ણય લેવાયા બાદ અમદાવાદથી સમગ્ર તબીબોની ટીમ વહેલી સવાર સુધીમાં જામનગર પહોંચી હતી. શનિવારે (29મી માર્ચ) વહેલી સવારે ઉમેશકુમારને તેમના પરિવારની હાજરીમાં ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા, અને એક પછી એક તેમના અંગોને કાઢી લેવામાં આવ્યા હતા.
વિશેષ કોરિડોર બનાવવા પોલીસની મદદ લેવામાં આવી
એક વિશેષ પેટીમાં તમામ અંગો મૂકીને અમદાવાદ લઈ જવા માટે વિશેષ કોરિડોર બનાવવા પોલીસની મદદ લેવામાં આવી હતી. જી.જી. હોસ્પિટલથી જામનગરના એરપોર્ટ સુધીના માર્ગે વિશેષ કોરિડોર બનાવીને સ્પેશિયલ એમ્બ્યુલન્સ મારફતે તમામ અવયવોને એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાંથી ચાર્ટર પ્લેનમારફતે અમદાવાદ પહોંચ્યા બાદ અમદાવાદમાં નિર્ધારિત અન્ય દર્દીઓ ની જરૂરિયાત પ્રમાણેના અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી.